દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ઉત્તર દિશા તરફથી ઠંડા-સૂકા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે. હાલ ગુજરાતમાં પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફની થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાનમાં એકથી લઈ પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. જેના કારણે મોડી રાત્રીથી વહેલી પરોઢ સુધી કાતિલ ઠંડી વર્તાઈ હતી. ત્યારે હવામાન વિભાગે ઉત્તરાયણમાં અને તે પહેલા ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે.
-> કેવું રહેશે ગુજરાતનું હવામાન :- ગુજરાતમાં ઠંડી, માવઠું અને પવન અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી 48 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે. જે બાદ ફરીથી બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. હવામાન વિભાગે આ અંગે વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે, ગુજરાતમાં પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ થઈ ગઈ છે. આ સાથે તેમણે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે આવે છે ત્યારે પહેલા તાપમાન વધે છે અને તે બાદ તાપમાનમાં ઘટાડો નોંધાય છે. 10મી તારીખે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે તાપમાન ઊંચુ જોવા મળશે. જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે.
-> ઉત્તરાયણના દિવસે ભારે પવન ફૂંકાશે :- હવામાન વિભાગના એ. કે. દાસે ઉત્તરાયણના દિવસની આગાહી કરતા જણાવ્યું કે, 14મી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના દિવસે ઠંડીનો અનુભવ થશે. 14 જાન્યુઆરીના પ્રતિકલાકે 10થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની આગાહી પણ છે. જેને લઈને પતંગ રસિકોને પરેશાન નહીં થવું પડે. હવામાન સારુ રહેવાના કારણે પતંગ રસિકોમાં ઉત્સાહનો માહોલ છે







