ઉત્તર પ્રદેશના નોઇડાના સેક્ટર-66 વિસ્તારમાં આવેલી પાંચ માળની રહેણાંક બિલ્ડિંગમાં બુધવારે ભીષણ આગ લાગતા બે લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, પાર્કિંગમાં ચાર્જિંગ પર મૂકાયેલી ઇલેક્ટ્રિક સ્કૂટીમાં સ્પાર્કિંગ બાદ આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
પાર્કિંગમાંથી શરૂ થઈ આગ
અધિકારીઓના જણાવ્યા મુજબ, મામૂરા ગામ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના પ્રથમ માળે આવેલા પાર્કિંગમાં એક ઇલેક્ટ્રિક સ્કૂટી ચાર્જિંગ પર હતી. આ દરમિયાન સ્પાર્કિંગ થતાં આગ ભભૂકી ઊઠી અને થોડા જ સમયમાં પાર્કિંગમાં ઉભેલા અન્ય વાહનોમાં પણ ફેલાઈ ગઈ. આગમાંથી નીકળેલો ગાઢ ધુમાડો સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી જતાં રહેવાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.
સીડીના સહારે બચાવાયા રહેવાસીઓ
આગ અને ધુમાડાના કારણે બિલ્ડિંગની અંદરની સીડીનો ઉપયોગ શક્ય ન રહ્યો, જેના કારણે ઘણા લોકો ઉપરના માળે ફસાઈ ગયા હતા. કેટલાક લોકોએ બાજુની બિલ્ડિંગ સુધી પહોંચવા માટે અસ્થાયી સીડીનો સહારો લીધો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની સાત ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. બચાવ ટીમોએ ભારે જહેમત બાદ 100થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
ધુમાડાથી ગૂંગળાઈ બે લોકોના મોત
આગ દરમિયાન ફેલાયેલા ઝેરી ધુમાડાના કારણે બે લોકો ગૂંગળાઈ ગયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. ઉપરાંત, એક યુવતી અને એક બાળક ગંભીર રીતે દાઝ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
અનેક વાહનો આગની ઝપેટમાં
આગના કારણે પાર્કિંગમાં ઉભેલા અનેક વાહનો સંપૂર્ણપણે સળગી ગયા હતા. ફાયર વિભાગે કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા.
બિલ્ડિંગ સંચાલક સામે કાર્યવાહી
નોઇડા સેન્ટ્રલના ડીસીપી શૈલેન્દ્ર સિંહે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં ઇલેક્ટ્રિક સ્કૂટી ચાર્જિંગ દરમિયાન સ્પાર્કિંગથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને બિલ્ડિંગના સંચાલક સામે ગુનો નોંધી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ અને ફાયર વિભાગ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે.
મુખ્યમંત્રીએ લીધું ઘટનાનું સંજ્ઞાન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લઈને અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર અને પીડિત પરિવારોને જરૂરી તમામ સહાય પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.





