રામ મંદિર દાન ચોરી કેસમાં મુખ્ય આરોપી ટિન્નુ સહિત 8 આરોપીઓ સામે મોટી કાર્યવાહી, લાગી શકે ગેંગસ્ટર એક્ટ

શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવતી રોકડ રકમ અને ભેટ-સોગાદોની કથિત ચોરીના કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસ હવે વધુ કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેસના મુખ્ય આરોપી રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ સહિત કુલ 8 આરોપીઓ સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધીની તપાસમાં મળેલા પુરાવા અને પૂછપરછના આધારે પોલીસ કાયદાકીય નિષ્ણાતોની સલાહ લઈ રહી છે.

જૂનના પ્રથમ સપ્તાહમાં સામે આવ્યો હતો મામલો
શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ચઢાવવામાં આવતી રકમમાં ગેરરીતિનો મામલો જૂનના પ્રથમ સપ્તાહમાં સામે આવ્યો હતો. પ્રાથમિક તબક્કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આંતરિક તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસ સાથે મળીને તપાસ હાથ ધરવામાં આવી, જેમાં દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી. મામલાની ગંભીરતા વધતા ટ્રસ્ટે રાજ્ય સરકારને તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને સોંપવાની ભલામણ કરી હતી. એસઆઈટીએ અયોધ્યામાં એક અઠવાડિયા સુધી વિવિધ પાસાઓની તપાસ કરીને મહત્વપૂર્ણ પુરાવા એકત્ર કર્યા હતા.

8 આરોપીઓ સામે FIR અને ધરપકડ
એસઆઈટીનો અહેવાલ સામે આવ્યા બાદ ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહને 8 નામજદ અને અન્ય અજાણ્યા શખ્સો સામે સત્તાવાર FIR નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુની ધરપકડ કરી હતી. ટિન્નુ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના વાહનચાલક તરીકે ફરજ બજાવતો હતો. આ ઉપરાંત મનીષ યાદવ, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, અવિનાશ શુક્લા, રમાશંકર મિશ્રા અને કરુણેશ પાંડેય સહિત અન્ય આરોપીઓની પણ ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે.

ગેંગસ્ટર એક્ટ માટે પુરાવા મજબૂત હોવાનો દાવો
પોલીસે આરોપીઓના નિવાસસ્થાનો પર દરોડા પાડી કિંમતી દાગીના અને લાખો રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હોવાનું જણાવાયું છે. તપાસ દરમિયાન મળેલા પુરાવાના આધારે પોલીસનું માનવું છે કે આરોપીઓએ સંગઠિત રીતે સમગ્ર કાવતરું ઘડી મંદિરના દાનની ચોરીને અંજામ આપ્યો હતો. આથી તેમની સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવા પૂરતા આધાર હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, કેસને વધુ મજબૂત બનાવવા તમામ પુરાવા એકત્રિત કરીને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

SITને તપાસ પૂર્ણ કરવા 15 જુલાઈ સુધીનો સમય
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિર દાન ચોરી કેસની તપાસ કરી રહેલી એસઆઈટીને વધુ સમય આપવાની મંજૂરી આપી છે. એસઆઈટીએ તપાસના વિવિધ પાસાઓની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સમય વધારવાની માંગ કરી હતી, જેને સ્વીકારીને મુખ્યમંત્રીએ તપાસ અહેવાલ રજૂ કરવાની સમયમર્યાદા 15 જુલાઈ સુધી લંબાવી છે.

 

 

 

 

  • Related Posts

    કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, વોટ્સઅપના ‘યુઝરનેમ’ ફીચરના લોન્ચ પર હાલ પૂરતો બ્રેક, મેટાને નોટિસ

    વોટ્સઅપના પ્રસ્તાવિત ‘યુઝરનેમ’ ફીચરને લઈને કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર સરકારે વોટ્સઅપની પેરેન્ટ કંપની મેટાને નોટિસ પાઠવી છે અને આ ફીચર અંગે સરકાર સાથે સંપૂર્ણ ચર્ચા…

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, સ્વચ્છતા અભિયાન અને પ્રાકૃતિક ખેતી અંગે મહત્વના નિર્ણયો

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે રાજ્ય કેબિનેટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્વચ્છતા અભિયાનને રાજ્યવ્યાપી જનઆંદોલનનું સ્વરૂપ આપવા, શાળા પ્રવેશોત્સવની સમીક્ષા કરવા તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં…