ભારતમાંથી નેપાળમાં પ્રવેશતા વાહનો માટે નેપાળ સરકારે તાજેતરમાં અમલમાં મૂકીેલી નવી ઓનલાઈન કસ્ટમ્સ સિસ્ટમ હવે વિવાદના કેન્દ્રમાં આવી છે. સરહદ પરની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે શરૂ કરાયેલી આ ડિજિટલ વ્યવસ્થા વેપારીઓ, વાહનચાલકો અને પ્રવાસીઓ માટે મુશ્કેલીનું કારણ બની રહી હોવાનું સામે આવ્યું છે.
નવી વ્યવસ્થા હેઠળ ભારતમાંથી નેપાળમાં પ્રવેશતા વાહનો માટે ટેમ્પરરી ઈમ્પોર્ટ ઓફ વ્હીકલ્સ (TIV) સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ પ્રક્રિયા મુજબ વાહન માલિકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે, વાહનની વિગતો દાખલ કરવી પડે છે અને કસ્ટમ્સ ટેક્સ પણ ઓનલાઈન જમા કરાવવો પડે છે. ત્યારબાદ મળતા QR કોડના આધારે સરહદ પાર કરવાની મંજૂરી આપવામાં આવે છે.
સરહદ પર 3થી 4 કલાક સુધી રાહ જોવાની ફરજ
નવી સિસ્ટમ અમલમાં આવ્યા બાદ નેપાળ-ભારત સરહદ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને ટ્રકો, માલવાહક રિક્ષાઓ, ખાનગી કારો અને પ્રવાસી બસોને કસ્ટમ્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં 3થી 4 કલાક જેટલો સમય લાગી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલો મુજબ, નેપાળના મહોત્તરી જિલ્લાના જલેશ્વર નજીક આવેલી માલીવાડા અને ભિઠ્ઠામોડ કસ્ટમ્સ પોસ્ટ પર સૌથી વધુ અસર જોવા મળી રહી છે. અહીં મોટી સંખ્યામાં વાહનો અટવાઈ જતા વેપાર અને પરિવહન બંને પ્રભાવિત થઈ રહ્યા છે.
ટેકનિકલ સમસ્યાઓથી વધ્યું સંકટ
સ્થાનિક સ્તરે પૂરતી ટેકનિકલ સુવિધાઓ અને પ્રશિક્ષિત કર્મચારીઓના અભાવને કારણે મુસાફરો અને વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વાહનચાલકોનું કહેવું છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા જટિલ છે અને સરકારી સહાય પૂરતી મળતી નથી. બિહાર અને ઉત્તર પ્રદેશમાંથી આવતા અનેક ડ્રાઈવરોના જણાવ્યા અનુસાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડતી હોવાથી તેઓને ખાનગી દલાલોની મદદ લેવી પડે છે.
દલાલો વસૂલી રહ્યા છે વધારાના રૂપિયા
નવી ઓનલાઈન પ્રક્રિયાનો લાભ ઉઠાવીને સરહદ વિસ્તારમાં દલાલો સક્રિય બની ગયા હોવાનું પણ સામે આવ્યું છે. ફોર્મ ભરવા, રજિસ્ટ્રેશન કરાવવા અને પ્રક્રિયા પૂર્ણ કરાવવા માટે દલાલો વાહનચાલકો પાસેથી 300થી 500 રૂપિયા સુધીની રકમ વસૂલતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે જે પ્રક્રિયા સમય બચાવવા માટે શરૂ કરવામાં આવી હતી તે હવે વધુ સમય અને ખર્ચ વધારવાનું કારણ બની રહી છે.
સરકારનો હેતુ અને વાસ્તવિક સ્થિતિ
નેપાળ સરકારનો દાવો હતો કે ડિજિટલ કસ્ટમ્સ સિસ્ટમથી સરહદ પરની ભીડ ઘટશે, પારદર્શિતા વધશે અને કાગળ આધારિત પ્રક્રિયાનો અંત આવશે. જોકે હાલની સ્થિતિમાં ટેકનિકલ ખામીઓ અને પૂરતા માર્ગદર્શનના અભાવને કારણે આ યોજના અપેક્ષા મુજબ સફળ થઈ શકી નથી. નાના વેપારીઓ તેમજ જથ્થાબંધ વેપારીઓ બંને આ નવી વ્યવસ્થાથી પ્રભાવિત થયા છે. વેપાર જગતમાં એવી માંગ ઉઠી રહી છે કે સરકાર સિસ્ટમમાં જરૂરી સુધારા કરે અને સરહદ પર ટેકનિકલ સહાય કેન્દ્રો શરૂ કરે, જેથી વાહનચાલકોને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276



