બંગાળમાં રાજકીય ઘમાસાણ તેજ: મમતા બેનર્જી સામે FIR, ભાજપ આક્રમક મૂડમાં

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર ભારે ગરમાવો આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા બેનર્જી સામે સિલિગુડી સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાતા રાજ્યના રાજકીય માહોલમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ સાથે જોડાયેલી મહિલા કાર્યકર્તા અને વ્યવસાયે વકીલ રિંકી ચેટર્જીએ મમતા બેનર્જી પર ઈદના એક જાહેર કાર્યક્રમ દરમિયાન હિંદુ સમાજ અંગે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે.

ઈદના કાર્યક્રમમાં આપેલા નિવેદન પર વિવાદ
દાખલ કરાયેલી ફરિયાદ અનુસાર, ચૂંટણી દરમિયાન યોજાયેલા ઈદના એક કાર્યક્રમમાં મમતા બેનર્જીએ આપેલા ભાષણથી બહુમતી સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું આરોપ છે. ફરિયાદી રિંકી ચેટર્જીનું કહેવું છે કે તેમણે અગાઉ પણ આ મામલે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. હવે સત્તાવાર રીતે FIR નોંધાતા ભાજપે આ મુદ્દે ટીએમસી સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે.

ટીએમસીમાં આંતરિક અસંતોષની ચર્ચા
આ સમગ્ર વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસની અંદર આંતરિક મતભેદોની ચર્ચાઓ તેજ બની છે. તાજેતરમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીને કેટલાક વિસ્તારોમાં મોટો ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ફલતા વિધાનસભા બેઠક પર ભાજપની જીત બાદ વિપક્ષ વધુ આક્રમક બન્યો છે.

અભિષેક બેનર્જીના નિવાસસ્થાને પોલીસ પહોંચતા ચર્ચા
સોમવારે પોલીસની એક ટીમ ટીએમસીના જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જીના નિવાસસ્થાને પહોંચી હતી. માહિતી મુજબ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ દ્વારા એક LED TV મોનિટર સહિત કેટલીક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે.

ટીએમસીના નેતાઓ સામે કાર્યવાહી
અહેવાલો અનુસાર છેલ્લા એક સપ્તાહ દરમિયાન ભ્રષ્ટાચાર, ગેરકાયદે વસૂલાત અને ચૂંટણી બાદની હિંસા જેવા કેસોમાં ટીએમસીના 70થી વધુ નાના-મોટા નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે, આ આંકડાઓ અંગે સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી.

ટીએમસીનો ભાજપ પર પ્રહાર
તૃણમૂલ કોંગ્રેસે સમગ્ર કાર્યવાહી પાછળ ભાજપ અને કેન્દ્ર સરકારનો હાથ હોવાનું આક્ષેપ કર્યો છે. પાર્ટીનું કહેવું છે કે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને રાજકીય બદલાની ભાવનાથી ટીએમસી નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હાલમાં આ સમગ્ર મામલે મમતા બેનર્જી અથવા TMC તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસ દ્વારા કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

 

 

  • Related Posts

    બાંકે બિહારી મંદિર વિવાદમાં SCનો મોટો નિર્ણય, હવે લોકશાહી પદ્ધતિથી પસંદ થશે પ્રતિનિધિઓ

    ભારતની સર્વોચ્ચ અદાલતએ બાંકે બિહારી મંદિરના સંચાલન અને પરંપરાઓને લઈને ચાલી રહેલા વિવાદમાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે હાઈ પાવર કમિટીમાં ગોસ્વામી સમાજના પ્રતિનિધિઓની પસંદગીમાં અધિકારીઓની મનમાની પર રોક લગાવી…

    ઘૂસણખોરી મુદ્દે કેન્દ્ર સરકાર એલર્ટ, હાઇ લેવલ કમિટીની રચના; અમિત શાહે આપી માહિતી

    દેશમાં વધી રહેલા અસામાન્ય વસ્તી પરિવર્તન અને ઘૂસણખોરીના મુદ્દે કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું કે કેન્દ્ર…