પશ્ચિમ એશિયામાં વધતી કટોકટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલ વચ્ચે દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવ પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રશાસને નાગરિકો, વેપારીઓ અને પ્રવાસીઓને ઈંધણનો ઓછો ઉપયોગ કરી ટકાઉ જીવનશૈલી અપનાવવા અપીલ કરી છે. સાથે જ વિવિધ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
પ્રશાસન દ્વારા લેવામાં આવેલા સૌથી મોટા નિર્ણય મુજબ દમણના પ્રખ્યાત દરિયાકિનારા દેવકા ખાતેનો ‘નમો પથ’ અને જામ્બોરીનો ‘રામ સેતુ’ વિસ્તાર 18 મે 2026થી ‘નો વ્હીકલ ઝોન’ તરીકે વિકસાવવામાં આવશે. આ વિસ્તારોમાં હવે માત્ર સાઇકલ, ઇલેક્ટ્રિક વાહનો અને પદયાત્રીઓને જ પ્રવેશ મળશે. પ્રશાસને લોકોને પ્રદૂષણમુક્ત વાતાવરણ જાળવવા સહકાર આપવા વિનંતી કરી છે.
ઈંધણ બચાવવા માટે જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દમણમાં ગામડાઓને જોડતા નવા બસ રૂટ શરૂ કરાયા છે અને સરકારી કર્મચારીઓ સહિત સામાન્ય નાગરિકોને ખાનગી વાહનોના બદલે બસ સેવા ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ શક્ય હોય ત્યાં ‘વર્ક ફ્રોમ હોમ’ પદ્ધતિ અપનાવી દૈનિક મુસાફરી ઘટાડવા પર ભાર મૂકાયો છે.
વહીવટીતંત્રે કારપૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પણ પ્રોત્સાહિત કર્યું છે. રસ્તા પર વાહનોની સંખ્યા ઘટાડવા માટે એક જ વાહનમાં ભાગીદારીમાં મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે.
રસોડાથી લઈને ખેતી સુધી પણ બદલાવ લાવવા પ્રશાસને અપીલ કરી છે. LPG સિલિન્ડરની જગ્યાએ વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ PNG ગેસ જોડાણનો ઉપયોગ કરવા જણાવ્યું છે. ઉપરાંત પરિવારોને ખાદ્ય તેલનો ઓછો ઉપયોગ કરવા અને ખેડૂતોને રાસાયણિક ખાતરના બદલે પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આર્થિક સમજદારીના ભાગરૂપે લોકોને હાલ પૂરતા બિનજરૂરી સોનાની ખરીદી અને વિદેશ પ્રવાસ ટાળવાની સલાહ પણ આપવામાં આવી છે. પ્રશાસનનું માનવું છે કે આવા પગલાંથી ઈંધણ બચત સાથે પર્યાવરણનું સંરક્ષણ અને દેશહિતમાં યોગદાન મળી શકશે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





