આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે PM મોદી, જામનગરથી સોમનાથ અને વડોદરા સુધી વ્યસ્ત કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાનના આગમનને લઈને રાજ્યભરમાં સુરક્ષા અને સ્વાગતની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

જામનગરમાં ભવ્ય સ્વાગતની તૈયારીઓ
વડાપ્રધાન મોદી આજે રાત્રે જામનગર પહોંચશે. તેમના આગમન પહેલા શહેરને રંગબેરંગી લાઇટિંગ અને સજાવટથી ઝગમગી ઉઠ્યું છે. એરફોર્સ સ્ટેશનથી લઈને લાલ બંગલા સર્કલ સુધીના સમગ્ર માર્ગને વિશેષ રોશનીથી સજાવવામાં આવ્યો છે. શહેરના મુખ્ય વિસ્તારો જેમ કે દરબારગઢ, ડી.કે.વી. કોલેજ, બેડી નાકા, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ અને મહાકાળી સર્કલ ખાતે વિશેષ લાઇટિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સર્કિટ હાઉસ સહિત સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

લાલ બંગલા સર્કલ ખાતે જન અભિવાદન કાર્યક્રમ
જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે વિશાળ જન અભિવાદન કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ દરમિયાન ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા લોક ડાયરો રજૂ કરવામાં આવશે. સાથે જ સૌરાષ્ટ્રની પરંપરાગત લોકકલાકૃતિઓ જેમ કે હુડો રાસ, સિદી ધમાલ, મણિયારો રાસ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

સોમનાથમાં પૂજા અને અમૃત મહોત્સવમાં હાજરી
જામનગરમાં રાત્રી રોકાણ બાદ વડાપ્રધાન મોદી રવિવારે સવારે સોમનાથ મહાદેવ મંદિરે પહોંચશે. તેઓ અહીં પૂજા-અર્ચના કરશે અને સોમનાથ વિરાસતના 75 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત ‘અમૃત મહોત્સવ’માં ભાગ લેશે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં છેલ્લા બે દાયકામાં મંદિર અને આસપાસના વિસ્તારના વિકાસને નવી દિશા મળી હોવાનું માનવામાં આવે છે.

વડોદરામાં સરદાર ધામનું લોકાર્પણ
સોમનાથના કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી વડોદરા પહોંચશે, જ્યાં તેઓ સરદાર ધામના નવા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વડાપ્રધાનના તમામ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને સુરક્ષા, ટ્રાફિક અને જનવ્યવસ્થાની વિશેષ તૈયારી કરવામાં આવી છે.

 

 

  • Related Posts

    વેનેઝુએલાના વિનાશક ભૂકંપમાં આર્જેન્ટિનાના ફૂટબોલર લુકાસ ટ્રેજોનો પરિવાર લાપતા, સોશિયલ મીડિયા પર મદદની અપીલ

    વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ આર્જેન્ટિનાના અનુભવી ફૂટબોલર લુકાસ ટ્રેજોના પરિવારના લાપતા હોવાના અહેવાલોએ રમતજગતમાં ચિંતા ફેલાવી છે. મીડિયા અહેવાલો અનુસાર, ભૂકંપ દરમિયાન તેમની પત્ની અને બે બાળકો જે રહેણાંક…

    અયોધ્યા રામ મંદિર દાન વિવાદ: SIT તપાસમાં મોટો ખુલાસો, ચાંદીના હાર અને ઇંટોની ચોરીના દાવા ખોટા સાબિત

    અયોધ્યા રામ મંદિરને આપવામાં આવેલા ચાંદીના હાર, ચરણ પાદુકા અને ચાંદીની ઇંટો ગુમ થઈ હોવાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દાવાઓને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસમાં ખોટા સાબિત કરવામાં આવ્યા…