હંતાવાયરસનો ખતરો: સંક્રમિત લક્ઝરી ક્રૂઝ શિપ સ્પેન પહોંચ્યું, 3ના મોત બાદ WHO એલર્ટ

હંતાવાયરસના સંક્રમણને કારણે ચર્ચામાં આવેલું લક્ઝરી ક્રૂઝ શિપ ‘MV હોન્ડિયસ’ રવિવારે સવારે સ્પેનના ટેનેરિફ દ્વીપ પર પહોંચી ગયું છે. જહાજમાં ફેલાયેલા સંક્રમણને કારણે અત્યાર સુધીમાં ત્રણ પ્રવાસીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય અનેક મુસાફરો બીમાર પડ્યા છે. મૃતકોમાં એક ડચ દંપતી અને એક જર્મન નાગરિકનો સમાવેશ થાય છે. આરોગ્ય અધિકારીઓ મુજબ, જહાજ પર કુલ 149 લોકો સવાર છે, જે 23 અલગ-અલગ દેશોના નાગરિકો છે.

WHO અને યુરોપિયન યુનિયનની દેખરેખ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને યુરોપિયન યુનિયનની વિનંતી બાદ સ્પેન સરકારે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. WHOના મહાનિદેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ પણ પરિસ્થિતિની દેખરેખ માટે ટેનેરિફ પહોંચ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. આરોગ્ય ટીમો દ્વારા જહાજ પરના તમામ મુસાફરોને ‘હાઈ-રિસ્ક કોન્ટેક્ટ’ માનીને તબીબી તપાસ કરવામાં આવી રહી છે. સંક્રમણ વધુ ન ફેલાય તે માટે કડક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

ચુસ્ત સુરક્ષા વચ્ચે મુસાફરોને ખસેડાશે
અધિકારીઓના જણાવ્યા મુજબ, મુસાફરોને નાની બોટની મદદથી જહાજમાંથી કિનારે લાવવામાં આવશે. ત્યારબાદ તેમને વિશેષ સુરક્ષા વ્યવસ્થા સાથે બસો દ્વારા સીધા ટેનેરિફ એરપોર્ટ લઈ જવામાં આવશે, જ્યાંથી તેઓ પોતાના દેશોમાં પરત જશે. જહાજના લગભગ 30 ક્રૂ મેમ્બર્સ હાલ જહાજ પર જ રહેશે. બાદમાં સમગ્ર જહાજને સંપૂર્ણ રીતે ડિસઇન્ફેક્ટ કરવા માટે નેધરલેન્ડ મોકલવામાં આવશે.

શું છે હંતાવાયરસ?
હંતાવાયરસ એક દુર્લભ પરંતુ ગંભીર વાયરસ છે, જે સામાન્ય રીતે ઉંદર જેવા પ્રાણીઓના મળ, પેશાબ અથવા લાળના સંપર્કથી ફેલાય છે. આ વાયરસ ફેફસાં અને શ્વસનતંત્ર પર ગંભીર અસર કરી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જોકે WHOએ સ્પષ્ટ કર્યું છે કે હંતાવાયરસ માણસથી માણસમાં સરળતાથી ફેલાતો નથી. તેથી હાલ વૈશ્વિક સ્તરે ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.

 

 

  • Related Posts

    થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો નવો કોરોનાવાયરસ, વૈજ્ઞાનિકો સતર્ક

    કોરોનાની મહામારી બાદ દુનિયા હજુ સંપૂર્ણપણે સંભળી નથી ત્યાં હવે થાઈલેન્ડમાંથી એક નવા કોરોનાવાયરસને લઈને ચિંતાજનક માહિતી સામે આવી છે. તાજેતરમાં વૈજ્ઞાનિક જર્નલ Cellમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, થાઈલેન્ડમાં ચામાચીડિયામાં…

    કેરેબિયન ક્રૂઝ પર નોરોવાયરસનો ફેલાવો, 100થી વધુ લોકો બીમાર

    વિશ્વ હજુ હંતાવાયરસના ખતરાને લઈને સતર્ક છે ત્યાં હવે નોરોવાયરસના વધતા કેસોએ આરોગ્ય એજન્સીઓની ચિંતા વધારી છે. અમેરિકાના ફ્લોરિડાથી રવાના થયેલા લક્ઝરી ક્રૂઝ શિપ ‘કેરેબિયન પ્રિન્સેસ’ પર નોરોવાયરસ ફેલાતા 115…