ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી ‘પેસેન્જર ફીડબેક અને પરફોર્મન્સ રેટિંગ સિસ્ટમ’ને રાજ્યભરમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. હવે એસ.ટી. બસમાં મુસાફરી દરમિયાન કોઈ પણ સમસ્યા હોય તો મુસાફરોને ફરિયાદ કરવા માટે કચેરી સુધી જવાની જરૂર નથી. બસમાં મૂકાયેલા QR કોડને સ્કેન કરીને તેઓ તરત જ પોતાનો પ્રતિભાવ આપી શકે છે.
માર્ચ 2026માં શરૂ થયેલી આ નવી સિસ્ટમમાં માત્ર એક જ મહિનામાં 1,702 મુસાફરોએ પોતાનો પ્રતિભાવ નોંધાવ્યો છે. મુસાફરોએ GSRTC સેવાઓને સરેરાશ 5 માંથી 4.5 રેટિંગ આપ્યું છે, જે જાહેર પરિવહન પ્રત્યે લોકોનો વિશ્વાસ દર્શાવે છે.
આ સિસ્ટમની અસરકારકતા તાજેતરમાં ત્યારે જોવા મળી જ્યારે મુસાફરોએ AC અને Volvo બસોમાં દુર્ગંધની ફરિયાદ કરી હતી. તંત્રએ તરત જ કાર્યવાહી કરીને રાજ્યભરની તમામ AC-Volvo બસોમાં એર ફ્રેશનર લગાવવાની સૂચના આપી સમસ્યાનો ઉકેલ લાવ્યો હતો. મુસાફરો દ્વારા સલામતીને 4.7, સ્ટાફના વર્તનને 4.6 અને સ્વચ્છતાને 4.5 રેટિંગ મળ્યું છે.
આગામી સમયમાં GSRTC દ્વારા રાજ્યના 400થી વધુ બસ ડેપો પર પણ સ્વચ્છતા માટે વિશેષ QR કોડ લગાવવામાં આવશે, જેથી મુસાફરો ડેપોની સ્થિતિ અંગે પણ પ્રતિભાવ આપી શકે. રાજ્યમાં દરરોજ 8,000થી વધુ બસો દ્વારા આશરે 27 લાખ મુસાફરો મુસાફરી કરે છે અને આ આંકડો 30 લાખ સુધી પહોંચાડવાનો નિગમનો લક્ષ્ય છે.
અધિકારીઓ મુજબ, મુસાફરોનાં પ્રતિભાવો આધારે સેવાઓમાં તાત્કાલિક સુધારા કરવામાં આવી રહ્યા છે. આ નવી પહેલને કારણે GSRTCના પરફોર્મન્સ રેટિંગમાં નોંધપાત્ર સુધારો થયો છે અને મુસાફરોની ભાગીદારી પણ સતત વધી રહી છે.
હવે મુસાફરો બસમાં લગાવેલા QR કોડને સ્કેન કરીને સ્વચ્છતા, બેઠક સુવિધા, સમયપાલન, સ્ટાફ વર્તન અને સલામતી જેવા મુદ્દાઓ પર સરળતાથી રેટિંગ આપી શકે છે. ફરિયાદ સાથે ફોટા અપલોડ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેનાથી સમસ્યાનો ઝડપી નિકાલ શક્ય બન્યો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





