દિલ્હીની જાણીતી યુનિવર્સિટી JNU ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ ગઈ છે. રાવણ દહન કાર્યક્રમ દરમિયાન ત્યાં ઘમાસાણ થઈ ગયું જ્યારે ABVPના કાર્યક્રમમાં રાવણના પૂતળા પર ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના ફોટા લગાવાયા. ભયજનક રાજકીય અને વિદ્યા સંસ્થાકીય ધ્રુવીકરણ સામે આવ્યું છે.
શું છે મામલો?
JNU કેમ્પસમાં દશેરાના અવસરે રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો. ABVP દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાવણના 10 માથાં પર દેશદ્રોહ અને રાજકીય વિવાદોમાં આવેલા ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય ચહેરાઓના ફોટા લગાવવામાં આવ્યા હતા. ABVP મુજબ, આ લોકો “દેશદ્રોહના ચહેરા” છે અને વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક રીતે તેમનો વિરોધ કર્યો છે. અન્ય તરફ, JNUSU (JNU વિદ્યાર્થી સંઘ) એ આ ઘટનાની સખત નિંદા કરી છે અને ABVP પર આરોપ લગાવ્યો છે કે તે રાજકીય ફાયદા માટે ધર્મ અને ઉત્સવોનો ઉપયોગ કરી રહી છે.
ABVPનું નિવેદન: સાંસ્કૃતિક આક્રમણ સહન નહીં કરીએ
ABVPના વિદ્યાર્થી નેતા મયંક પંચાલએ જણાવ્યું કે,”JNUમાં અમે 10 દિવસ સુધી માતાજીની આરાધના કરી અને દશેરાનું ઉજવણી ભવ્ય રીતે યોજી. પરંતુ ડાબેરી સંગઠનોએ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો.” તેમણે આરોપ લગાવ્યો કે ડાબેરી વિચારધારાના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ખલેલ પહોંચાડી અને કેટલાક લોકો જૂતા પણ ફેંક્યા.
JNUSUનો વાંધો
JNUSUએ જાહેર વિવાદમાં કહ્યું કે,”શરજીલ ઇમામ અને ઉમર ખાલિદ પાંચ વર્ષથી જેલમાં છે અને હજુ પણ કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. ABVPએ જાહેરમાં તેમને દોષી ઠેરવવાનો પ્રયાસ કર્યો છે, જે શરમજનક છે.” તેમણે એ પણ સવાલ કર્યો કે જો ABVPને ખરેખર રાષ્ટ્રની ચિંતા છે, તો રાવણ તરીકે નાથુરામ ગોડસે કે રામ રહીમ જેવા દોષિતોને કેમ નહીં દેખાડ્યા?
વિદ્યાર્થી રાજકારણ કે મુદોનું રાજનીતિકીકરણ?
આ ઘટનાએ ફરીથી JNUના કેમ્પસને વિવાદના કેન્દ્રમાં લાવી દીધો છે. જ્યાં ABVP તેને “દેશવિરોધી તત્વો સામે સામૂહિક અવાજ” તરીકે જોવે છે, ત્યાં JNUSU તેને “વિચારભિન્નતાના દમનનો પ્રયાસ” ગણાવે છે.








