હાઈકોર્ટે ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામને લઈને લાલ આંખ કરી છે . અને તાત્કાલિક તોડી પાડવાનો આદેશ કર્યો છે. કોર્ટ નોંધ્યું કે, રાજ્યમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. રાજ્યમાં ગેરકાયદેસર થયેલ ધાર્મિક બાંધકામ પર કોર્ટે લાલ આંખ કરતા તંત્રને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા ગેરકાયદે બાંધકામ મુદ્દે અત્યાર સુધીની કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા તંત્રને આદેશ કર્યો હતો.
રાજ્યમાં આડેધડ ધાર્મિક બાંધકામ કરી નિર્દોષ નાગરિકોની જગ્યા પચાવી પાડવામાં આવે છે. પ્રજાની જગ્યાનો દુરુપયોગ ના થાય માટે કોર્ટે તંત્રને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા આદેશ કર્યો. તેમજ ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવા આદેશ કર્યો છે
મહત્વનું છે કે રાજ્યમાં અનેક સ્થાનો પર અનઅધિકૃત રીતે ધાર્મિક સ્થાનોનું બાંધકામ કરાયું હોવાની નોંધ લેતા સરકાર દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની રિટ દાખલ કરી. સરકારે કોર્ટને જણાવ્યું કે રાજ્યમાં ઘણા સમયથી જાહેરમાર્ગો પર આડેધડ ધાર્મિક સ્થાનોનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ જાહેર માર્ગો પરથી અંતરાયરૂપ એવા અનઅધિકૃત એવા ગેરકાયદે બાંધકામ દૂર કરાયા હતા.જેમાં જિલ્લા વિસ્તારના 236 અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના 267 સહિત કુલ 503 જેટલા ધાર્મિક સ્થાનોના ગેરકાયદે બાંધકામ દૂર કરાયા હતા.
જો કે સરકાર દ્વારા ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરવાને લઈને કુલ 2975 નોટિસો જાહેર કરાઈ હતી. તંત્ર દ્વારા ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરવાની કામગીરી ઘણી નબળી જોવા મળી. આથી તાજેતરમાં હાઈકોર્ટ ગેરકાયદે ધાર્મિક બાંધકામ મુદ્દે લાલ આંખ કરતાં તંત્રને સાણસામાં લેતા કડક કામગીરીના આદેશ આપ્યા છે.






