રાજકોટ શહેરમાં એક ગ્રાહકને મેકડોનાલ્ડસનો કડવો અનુભવ થયો છે. રિલાયન્સ મેગામોલમાં આવેલા મેકડોનાલ્ડસની ગંભીર બેદરકારી સામે આવી છે. એક ગ્રાહકે મેકડોનાલ્ડસમાંથી વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. અને પરંતુ નોનવેજ બર્ગર નીકળ્યા હતા. ગ્રાહકે ફરિયાદ કરી કે તેઓ વેજેટેરિયન છે અને નોનવેજ બર્ગર ખાતા તેમના પરિવારને ધર્મ ભ્રષ્ટ થયાની લાગણી અનુભવાઈ રહી છે.
ગત રવિવારે કેવલ વિરાણી નામના યુવકે પોતાના પરિવાર માટે સ્વિગી ડિલિવરી એપ મારફતે મેકડોનાલ્ડ્સમાંથી 6 વેજ બર્ગર મગાવ્યા હતા. મેકડોનાલ્ડસનું પાર્સલ જ્યારે ઘરે આવ્યું ત્યારે તેમાંથી 4 વેજ અને 2 નોનવેજ બર્ગર નીકળ્યા. વિરાણી પરિવારની એક વ્યક્તિએ જ્યારે ઓર્ડર કરેલ બર્ગર ખાધું ત્યારે તેનો સ્વાદ બહુ અલગ લાગ્યો. આથી તેમણે ઓર્ડર ચેક કર્યો અને ત્યારે ધ્યાનમાં આવ્યું કે તેમણે કરેલ ઓર્ડરમાં 2 નોનવેજ બર્ગર છે. પરિવારના એક વ્યક્તિએ ભૂલથી નોનવેજ બર્ગર ખાઈ લેતા તેમની ધાર્મિક લાગણી દુભાઈ છે. કારણ કે વિરાણી પરિવાર વૈષ્ણવ ધર્મનું પાલન કરે છે. વૈષ્ણવ ધર્મનું પાલન કરનાર ચુસ્ત વૈષ્ણવો ડુંગળી અને લસણ પણ ખાતા નથી.
વૈષ્ણવ ધર્મ પાળતા પરિવારે કન્ઝયુમર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. આ મામલે મેકડોનાલ્ડસ તરફથી બચાવ કરતા ગ્રાહકની માફી માંગવામાં આવી છે. મેકડોનાલ્સે માફી માંગતા કહ્યું કે, રવિવારના દિવસે સામાન્ય રીતે તેમના ત્યાં કામનો વધુ બોજ હોય છે. અને ગત રવિવાર એટલે કે 23 ફેૂબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાનની મેચ હોવાના કારણે ધાર્યા કરતાં વધુ ઓર્ડરની રિકવેસ્ટ આવી હતી. અને તમામ ગ્રાહકોની માંગ પૂર્ણ કરવામાં અને વધુ પડતા કામના ભારણના લીધે વેજીટેરીયન ગ્રાહકને ભૂલથી નોનવેજનો ઓર્ડર મોકલાયો. અમે માફી માંગતા ભવિષ્યમાં આવું નહીં થાય તેનું ચોક્કસપણે ધ્યાન રાખીશું.








