બાંગ્લાદેશ આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને દેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવા અપીલ કરી છે. તેમણે રાષ્ટ્રીય સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂક્યો, જે સ્થિરતા અને વિકાસને પ્રોત્સાહન આપી શકે. એક ઈન્ટરવ્યુમાં તેમણે દેશની વર્તમાન સ્થિતિ અને પડોશી દેશો સાથેના સંબંધો પર ચર્ચા કરી હતી. આ દરમિયાન, તેમણે મોહમ્મદ યુનુસના વચગાળાના વહીવટની પોલીસિંગ નિષ્ફળતાઓ પર ચિંતા વ્યક્ત કરી અને દેશમાં શાંતિ, સુશાસન અને વિકાસ માટે રાજકીય પક્ષોની સક્રિય ભૂમિકાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
જનરલ વકારે કહ્યું કે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા અને સામાજિક વિકાસ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી છે. તેમણે કહ્યું, “શાંતિ અને સ્થિરતા વિના વિકાસ અને સુશાસન શક્ય નથી. આપણે પરસ્પર સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવું પડશે અને સમાધાન તરફ પગલાં ભરીને રાષ્ટ્રીય સર્વસંમતિનું વાતાવરણ બનાવવું પડશે.” ભારત સાથેના સંબંધો પર નિવેદન આપતાં તેમણે કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પરસ્પર નિર્ભરતા મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ બંનેએ તેમની સુરક્ષા, આર્થિક પ્રવૃત્તિઓ અને અન્ય જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર રહેવું પડશે. સારા સંબંધો જાળવવા બંને દેશોના હિતમાં છે. તેમણે કહ્યું કે અમે અમારા કોઈપણ પાડોશી દેશ સાથે એવું કંઈ કરીશું નહીં જે તેમના વ્યૂહાત્મક હિતોની વિરુદ્ધ હોય.
-> સેનાની ભૂમિકાને મર્યાદિત કરવાની વાત :- દેશમાં નિષ્ક્રિય પોલીસ પ્રશાસન વચ્ચે સેનાની ભૂમિકા વધારવાની શક્યતાને જનરલ વકારે નકારી કાઢી હતી. તેમણે બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું હતું અને સંસ્થાઓને પુનઃસ્થાપિત કરવા માટે રાજકીય રીતે સશક્ત સરકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આપણને રાજકીય પક્ષો અને સરકારની જરૂર છે. રાજકારણ અને રાજકીય સરકાર વિના દેશમાં સંસ્થાકીય પુનઃસ્થાપન શક્ય નથી.
-> મ્યાનમાર સરહદ પર સુરક્ષા ચિંતાઓનો ઉલ્લેખ :- મ્યાનમારમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધ પર બોલતા, જનરલ વકારે સ્વીકાર્યું કે બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ પર સુરક્ષાની ચિંતાઓ છે. તેમણે પાડોશી દેશો સાથે સંતુલિત અને મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા પર ભાર મૂક્યો હતો.








