મહાકુંભ મેળાને લઈને હાલ લોકો પ્રયાગરાજ તરફ જઈ રહ્યા છે.ત્યારે નવસારીના વતની સ્વાતિ પટેલ તેમના સંબંધીઓ સાથે કુંભમેળામાં જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રવિવારે રાતે 11 વાગ્યાની આસપાસ ચિત્રકૂટ નજીક તેમની કારને અકસ્માત નડતાં સ્વાતિ પટેલની કરૂણ મોત નીપજ્યું, જ્યારે તેમની સાથે કારમાં સવાર અન્ય સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. નવસારીના ધર્મિનગરના જલારામનગર સોસાયટીના રહેવાસી સ્વાતિ પટેલ સંબંધીઓ સાથે પ્રયાગરાજના કુંભમેળામાં જવા નીકળ્યા હતા.
ત્યારે ચિત્રકૂટ પાસે એક કાર સાથે તેમની કારને ઓવરટેક કરવા જતાં સાઇડમાંથી ટકરાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્વાતિ પટેલને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેમને સારવાર અર્થે તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે.
કારમાં સવાર અન્ય સાત લોકોમાંથી એક વ્યક્તિને ખભાના ભાગે ઇજા થઈ હતી, જ્યારે અન્ય લોકોને સામાન્ય ઇજા થઈ હતી.સ્વાતિ પટેલના મૃતદેહને તેમના વતન નવસારી લાવવામાં આવ્યો હતો અને અહીં તેમની અંતિમવિધિ કરવામાં આવી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકો હાલ સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે. ઉત્તર પ્રદેશ પોલીસ હાલ આ અકસ્માત અંગે તપાસ કરી રહી છે.








