ગુજરાતમાં વધતી ગેરરીતિને લઈને તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષામાં ગુજરાત જાહેર પરીક્ષામા ગેરરિતિઓ રોકવા કાયદો-૨૦૨૩ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કાયદો-૧૯૭૨ની કલમ-૪૩ લાગુ પડવા તાકીદ કરાઈ છે.ધો-૧૦ અને ધો-૧૨ની બોર્ડની પરીક્ષામા ગેરરીતિ બદલ જેલની સજાની જોગવાઈ પણ કરાઈ છે. આ અંગેની માહિતી અનુસાર, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષાઓ તા.૨૮થી આરંભ થશે.આ પરીક્ષાઓ પારદર્શક રીતે યોજાય તથા વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની પરેશાની વિના સ્વસ્થ ચિતે પરીક્ષા આપી શકે તે માટે બોર્ડ દ્વારા દર વર્ષે તમામ પ્રયત્નો કરવામાં આવે છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કાયદો, ૧૯૭૨ની કલમ-૪૩ હેઠળ બોર્ડના પ્રશ્નપત્ર, જવાબવહી અને અન્ય સાહિત્યને ગોપનીય ગણવામાં આવેલ છે.
આવા સાહિત્યને અનધિકૃત રીતે પોતાની પાસે રાખવા, બીજાને પહોચાડવુ કે ઉપયોગમાં લેવુ તે ગુનો છે. જેના માટે જેલ અને દંડની જોગવાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી પરીક્ષાઓને પણ આ કાયદો લાગુ પડે છે,પરીક્ષા દરમિયાન આ કાયદાની જોગવાઈઓને ભંગ કરતો ગુન્હો જો પરીક્ષાર્થીઓ દ્વારા આચરવામાં આવે તો કાયદાની કલમ-૪(૨)ની જોગવાઈ અનુસાર આખરી નિર્ણય કરવાની સત્તા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની છે. માટેપરીક્ષા દરમિયાન ગેરરીતિની કોઈ ઘટના બને અને કાયદાનો ભંગ થતો જણાય તો રોજકામમાં આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે તે માટે સ્થળ સંચાલક અને સુપરવાઈઝરને જરૂરી સુચના આપવાની રહેશે.
આ કાયદાની જોગવાઈઓનો ભંગ કરતો કોઈ ગુન્હો પરીક્ષાર્થી સિવાયની વ્યક્તિ દ્વારા આચરવામાં આવે ત્યારે આ કાયદાની કલમ-૧૭ મુજબ પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની રહેતી હોઈ. તો તે મુજબ પગલા લેવાય તે સુનિશ્વિત કરવાના રહેશે.તેમ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યુ હતું. પ્રશ્નપેપર સોલ્વ કરવા માટે કોઈ શિક્ષક કે ખાનગી ટયુશન કલાસીસ સંચાલક કે અન્ય કોઈ પણ વ્યક્તિ મદદ કરે તો આ કૃત્ય કાયદાની કલમ-રk(i)(c) અનુસાર ગુન્હો છે. અને કસુરવારો સામે કલમ-૧૨(૩) મુજબની શિક્ષાની જોગવાઈ હોવાથી તે અનુસાર કાર્યવાહી કરવાની રહેશે. તેમ શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું.






