મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર, તા. 7મી ફેબ્રુઆરીએ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તેઓ આવતીકાલે શુક્રવારે બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન પણ કરવાના છે.
મુખ્યમંત્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.
વડાપ્રધાન મોદીએ મહાકુંભમાં લગાવી હતી આસ્થાની ડૂબકી
બે દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચી ગયા હતા. આ પ્રસંગે, તેઓ મહાકુંભમાં પવિત્ર સંગમમાં સ્નાન કર્યું હતું અને માતા ગંગાની પૂજા કરી હતી. આ દરમિયાન મહાકુંભમાંથી પીએમ મોદીની તસવીર સામે આવી છે, જેમાં ગળામાં અને હાથમાં રુદ્રાક્ષની માળા પહેરીને પીએમ મોદી સંગમમાં ડૂબકી લગાવતા દેખાઈ રહ્યા હતા.






