*અમદાવાદ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરીનો પ્રારંભ*
*****
*ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી વિદેહ ખરેએ જિલ્લામાં વસતી ગણતરી કામગીરીની રૂપરેખા રજૂ કરી*
*****
*જિલ્લામાં જનગણના માટે ૨,૪૬૦ ગણતરીદારો અને ૩૯૯ સુપરવાઇઝરોની નિમણૂંક કરાઈ :-ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે*
*****
ગુજરાત રાજ્યમાં ૧ જૂનથી વસ્તી ગણતરી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. અમદાવાદ જિલ્લામાં પણ આજથી વસતી ગણતરી-૨૦૨૭ની પ્રક્રિયાનો પ્રારંભ થતા અમદાવાદના ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી વિદેહ ખરેએ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરી અંગેની તૈયારીઓ અને આયોજનો અંગે વિગતો રજૂ કરી હતી.
શ્રી વિદેહ ખરેએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વસતી ગણતરીની કામગીરીને સુચારુ, સચોટ અને પારદર્શી રીતે પૂર્ણ કરવા માટે તમામ આગોતરી તૈયારીઓ, મેપિંગ અને સઘન તાલીમ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરીને આખરી ઓપ આપી દેવાયો છે. અમદાવાદ જિલ્લામાં કુલ ૦૯ તાલુકાઓ અને ૦૬ નગરપાલિકાઓ હેઠળ વહીવટી આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં જનગણના માટે કુલ ૨,૫૧૮ બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. વસતી ગણતરીના સુચારુ સંચાલન માટે ક્ષેત્ર સ્તરે કુલ ૨,૪૬૦ ગણતરીદારો અને ૩૯૯ સુપરવાઇઝરોની નિમણૂંક કરવામાં આવી છે.
જિલ્લાના નાગરિકોને અનુરોધ કરતા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આ વખતે દેશમાં સૌપ્રથમ વખત ડિજિટલ વસ્તી ગણતરીની પહેલ લાગુ કરવામાં આવી છે. જ્યારે વસ્તી ગણતરીદાર આપના ઘરે આવે ત્યારે આપની લાગુ પડતી તમામ સાચી માહિતી વસ્તી ગણતરીદાર સમક્ષ રજૂ કરશો. જેથી સાચી માહિતી અને સાચા આંકડાઓ થકી આ વસ્તી ગણતરી પ્રક્રિયાને સફળ બનાવી શકાય અને આવનારા સમયમાં સરકારી યોજનાઓ અને સરકારી જનઅભિયાનોને વધુ અસરકારક બનાવી શકાય.
સ્વ-ગણતરી કરનારા નાગરિકોને વિનંતી કરતા ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે જે નાગરિકોએ સ્વ-ગણતરી કરી છે તેમણે વસ્તી ગણતરીદારને પોતાનો સેલ્ફ એન્યુમેરેશન આઈડી આપવાનો રહેશે, જેથી તેમની વસ્તી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.
*********



