ગુજરાતમાં એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાનમાં અચાનક મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે, પરંતુ હવે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામે તેવી આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 21 મેના રોજ જાહેર કરાયેલા સાત દિવસના સત્તાવાર બુલેટિન મુજબ, આગામી 22 અને 23 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ અથવા વરસાદી ઝાપટાં પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા આગામી બે દિવસ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. જેમાં નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ પલટો
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાન બદલાવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં 22 મેથી વરસાદી ઝાપટાં પડી શકે છે. ભાવનગર જિલ્લામાં 23 મેના રોજ હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દીવના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.
બાકીના રાજ્યમાં ગરમી યથાવત્
હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વરસાદી અસર માત્ર ગણતરીના જિલ્લાઓ સુધી જ સીમિત રહેશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે અને આગામી દિવસોમાં તાપમાનમાં ખાસ ઘટાડો થવાની શક્યતા ઓછી છે. ગરમી અને ભેજના કારણે લોકોમાં ઉકળાટનો અનુભવ વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





