ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી, આગામી 24 કલાકમાં કેરળ પહોંચશે વરસાદ; 7 દિવસ ભારે વરસાદની આગાહી

દેશભરમાં કાળઝાળ ગરમીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા અનુમાન મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગામી 24 કલાકમાં કેરળના દરિયાકાંઠે દસ્તક આપી શકે છે. ચોમાસાના આગમન સાથે જ દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે.

હવામાન વિભાગે કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને લક્ષદ્વીપ સહિતના દક્ષિણ ભારતીય રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ અને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 8 અને 9 જૂન દરમિયાન અસમ અને મેઘાલયના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ભારતમાં કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનની શક્યતા છે. અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે સાવચેતી રાખવાની સલાહ આપી છે. ચોમાસાની શરૂઆત સાથે જ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને સ્થાનિક સ્તરે પૂર જેવી સ્થિતિ સર્જાવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

કર્ણાટક અને લક્ષદ્વીપમાં ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી શકે છે. તટીય વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ભારે વરસાદ અને પવનને કારણે પરિવહન વ્યવસ્થામાં પણ વિક્ષેપ સર્જાઈ શકે છે.

ઉત્તર ભારતના પહાડી વિસ્તારો જેમ કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાઈ શકે છે.

બીજી તરફ દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ધૂળની ડમરીઓ, ગાજવીજ અને હળવા વરસાદની શક્યતા હોવાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. જોકે સપ્તાહના અંતમાં ફરીથી કેટલાક વિસ્તારોમાં લૂની સ્થિતિ સર્જાવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ચોમાસાની સત્તાવાર એન્ટ્રી સાથે હવે દેશના વિવિધ ભાગોમાં વરસાદી સીઝનની શરૂઆત થવાની તૈયારી જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોમાં પણ રાહત અને ઉત્સાહનો માહોલ છે.

 

 

 

  • Related Posts

    શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: જ્ઞાન સહાયક યોજનામાં વયમર્યાદા 48 વર્ષ સુધી વધારી

    ગુજરાતના શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયક યોજનામાં મહત્વપૂર્ણ સુધારા જાહેર કર્યા છે. રાજ્ય સરકારે શિક્ષકોની અછત દૂર કરવા અને વધુ અનુભવી ઉમેદવારોને તક આપવા માટે યોજનાની મુખ્ય જોગવાઈઓમાં ફેરફારને મંજૂરી આપી…

    ગુજરાતમાં ખેતીની જમીનને NA કરવાની પ્રક્રિયા પર એક વર્ષનો બ્રેક, રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

    ગુજરાત સરકારે ખેતીની જમીનોના સંરક્ષણ અને જમીન વ્યવહારોમાં પારદર્શિતા લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ આગામી એક વર્ષ સુધી ખેતીની જમીનને…