ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ

રાજ્યમાં મોઢેરા સહિત કુલ પાંચ બેટરી સ્ટોરેજ પ્રણાલીઓ કાર્યાન્વિત, અન્ય 13 પ્રોજેક્ટ પાઇપલાઇનમાં, ઉચ્ચ માંગ સમયે વીજ પુરવઠો પહોંચાડશે. ગ્રીડને સ્થિર રાખવામાં મદદરૂપ થશે, વધારાની રિન્યૂએબલ ઊર્જાને સંગ્રહ કરીને ઇમરજન્સી બેકઅપ તરીકે પણ કામ કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય અત્યાધુનિક ઊર્જા સોલ્યુશન્સ અપનાવવામાં અગ્રેસર.

ભારતના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાના સફળ અમલીકરણથી ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમવાર સોલાર પાવર પ્લાન્ટ સાથે સંકલિત બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) એટલે વીજળીનો સંગ્રહ કરતી બેટરીની વ્યવસ્થા રજૂ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ દિશામાં આગળ વધતા અત્યારે ગુજરાત સમગ્ર દેશમાં બેટરી સ્ટોરેજ પ્રણાલીને આગળ લઇ જવામાં અગ્રણી રાજ્યોની યાદીમાં સામેલ થઇ ગયું છે. મોઢેરા બાદ અત્યારે ગુજરાતમાં 870 મેગાવોટની ક્ષમતા સાથે કુલ 5 સ્થળોએ બેટરી સ્ટોરેજની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. બેટરી સ્ટોરેજ સ્થાપિત કરવા માટે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લા માટે અન્ય 13 પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ્સ અને મજબૂત નીતિના લીધે આગામી સમયમાં ગુજરાત ઊર્જા સંગ્રહ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે અગ્રણી ભૂમિકા ભજવશે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર વર્ષ 2030 સુધીમાં ભારતની 500 GW બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતા પ્રાપ્ત કરવાના લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપશે.

અમદાવાદના સાણંદ તાલુકાના ચરલ ખાતે તાજેતરમાં જ એક બેટરી સ્ટોરેજ પ્રણાલી શરૂ કરવામાં આવી છે. તે સિવાય મહેસાણાના મોઢેરા અને કચ્છના લખપતમાં કુલ 4 બેટરી સ્ટોરેજ પ્રણાલી કાર્યરત છે. રાજ્ય સરકારે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પોલિસી – 2025માં અત્યાધુનિક ઊર્જા સંગ્રહ કરતી વ્યવસ્થાઓને મહત્વના ઘટક તરીકે સમાવિષ્ટ કરી છે. તેના આધારે બેટરી સ્ટોરેજ માટેના સ્વતંત્ર પ્રોજેક્ટ્સ, નવા રિન્યૂએબલ ઊર્જા પ્રોજેક્ટ્સ સાથેના બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ્સ અને હયાત રિન્યૂએબલ ઊર્જા પ્રોજેક્ટ્સ સાથે સંકલિત થાય તેવા બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવે છે. આગામી સમયમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાની મંજૂરી બાદ વ્યવસાયિક અને ઔદ્યોગિક ગ્રાહકો માટે પણ બેટરી સ્ટોરેજ માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ઔદ્યોગિક અને વ્યવસાયિક ગ્રાહકો તેમના સોલાર કે વિન્ડ પ્રોજેક્ટ સાથે બેટરી સ્ટોરેજની સુવિધા શરૂ કરી શકશે.

શા માટે જરૂરી છે BESS ?
બેટરી સ્ટોરેજ સિસ્ટમ વીજળીનો સંગ્રહ કરવા માટે જરૂરી છે. રાજ્યમાં સોલાર તેમજ રિન્યૂએબલ સ્ત્રોતમાંથી વીજ ઉત્પાદન દિવસ દરમિયાન બદલાતું રહે છે. જેમ કે દિવસના સમયે સોલારનું વીજ ઉત્પાદન વધારે હોય છે અને સાંજના સમયે ઉત્પાદન થઇ શકતું નથી. દિવસ દરમિયાન વધારાના વીજ ઉત્પાદનને યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે તો સાંજના સમયે જ્યારે માંગ વધારે હોય (પીક લોડ) ત્યારે તે વીજ જથ્થાને વહેંચી શકાય છે. અત્યારે સાંજના સમયે જ્યારે અચાનક માંગ વધે ત્યારે વીજ પુરવઠો પૂરો પાડતી ગ્રીડ પર લૉડ વધે છે. આ સ્થિતિમાં ગ્રીડ સ્થિર રહે તેના માટે પણ બેટરી સ્ટોરેજ પ્રણાલીઓ જરૂરી છે. રાજ્ય સરકાર આ દિશામા જ આગળ વધી રહી છે.

ગુજરાત સરકારનું સ્માર્ટ આયોજન
ગુજરાતમાં બેટરી સ્ટોરેજ વ્યવસ્થાના નિર્માણ માટે રાજ્ય સરકાર વ્યૂહાત્મક રીતે આગળ વધી રહી છે. સ્પર્ધાત્મક બીડિંગ દ્વારા કંપનીઓને આ ક્ષેત્રમાં આમંત્રિત કરવામાં આવી રહી છે. બેટરી સ્ટોરેજ રિન્યૂએબલ પ્રોજેક્ટની નજીક લગાવવામાં આવે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે જેથી વધારાની ઊર્જા ઝડપથી સ્ટોર કરી શકાય અને ટ્રાન્સમિશન લૉસ અને વેડફાટને અટકાવી શકાય. ગેટકો (GETCO) અને પાવર વિતરણ કંપનીઓ સ્માર્ટ પ્લાનિંગ સાથે ગ્રીડની ક્ષમતા અનુસાર બેટરી સ્ટોરેજ સિસ્ટમ માટેના સ્થળની પસંદગી કરે છે. આ વ્યવસ્થા દ્વારા બેટરી સ્ટોરેજ માત્ર વીજળીનો સંગ્રહ જ નહિ કરે પરંતુ સાથોસાથે ગ્રીડને વૉલ્ટેજ અને ફ્રિક્વન્સીનો સહયોગ આપીને સ્થિર રાખશે અને ઇમરજન્સી બેકઅપ તરીકે મદદરૂપ બનશે.

  • Related Posts

    અગમ્ય કારણે આગ લાગી, ઘરની સાથે નસીબ પણ બળીને ખાખ

    કહેવુ સહેલું હોય છે કે રાખમાંથી બેઠો થાય તે માનવી અને અમે તો ફિનિક્સ પક્ષી સમાન છીએ જે રાખમાંથી પુન:ઉત્પન થાય છે. જ્યારે પ્રશ્ન ધરતી પરનાં પોતાનાં સ્વર્ગ એવા પોતાનાં ઘરનો હોય ત્યારે આ તમામ વાતો સુફિયાણી જ લાગે. જે લોકો કોઇ પણ વાંક ગુના વિના જ પોતાનું ઘર ગુમાવી દેતા હોય છે તેની મનોદશા આવી સુફિયાણી વાતોને લઇને અકલ્પનીય થઇ જાય છે

    સાદગીનું ઉત્તમ ઉદાહરણ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સામાન્ય નાગરિકની જેમ મેટ્રોમાં કરી મુસાફરી

    ભારતીય લોકશાહીમાં જ્યારે ‘VIP કલ્ચર’ અને પ્રોટોકોલની ભભક સામાન્ય ગણાતી હોય, ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રજૂ કરેલું ઉદાહરણ શાસન અને જનતા વચ્ચેના અંતરને ઓગાળનારું સાબિત થયું છે. ગાંધીનગરથી અમદાવાદ સુધીની તેમની મેટ્રો મુસાફરી માત્ર એક પ્રવાસ નહોતો, પરંતુ તે પદની ગરિમા અને વ્યક્તિગત સાદગીના સમન્વયની એક વિરલ ઘટના હતી.