રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું અમદાવાદ ઈસરો ખાતે યુવા વૈજ્ઞાનિકોને સંબોધન, સ્પેસ ટેકનોલોજી અને કૃષિ સંશોધન પર ભાર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અમદાવાદ ઈસરો – સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા આયોજિત ડીપટેક ઈન્ડસ્ટ્રી કનેક્ટ 2026 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાયન્સ કોમ્યુનિટીને સંબોધન કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે ભારતના વૈજ્ઞાનિકો આધુનિક યુગના યોગી સમાન છે. જેઓ તપ, અનુશાસન અને એકાગ્રતાથી રાષ્ટ્રને અંતરીક્ષ ક્ષેત્રે નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે. ભારતના અંતરીક્ષ વૈજ્ઞાનિકોની અથાગ મહેનતથી દેશે આજે સ્પેસ ટેકનોલોજીમાં અદ્દભૂત સિદ્ધિઓ હાંસલ કરી છે.

રાજ્યપાલએ જણાવ્યું કે સ્પેસ ટેકનોલોજી માત્ર સંશોધન પુરતી મર્યાદિત નથી પરંતુ તેમા સ્ટાર્ટઅપ, ઈનોવેશન, ડેટા સર્વિસ, ઉપગ્રહ આધારિત સેવાઓ અને ડિફેન્સ એપ્લિકેશન જેવા ક્ષેત્રોમાં રોકાણની વિશાળ તકો રહેલી છે. ખાનગીક્ષેત્ર અને ઉદ્યોગ સાહસિકો માટે સ્પેસ સેક્ટર ભાવિ વિકાસનું એક શક્તિશાળી માધ્યમ બની શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન ચાલી રહ્યુ છે ત્યારે સ્પેસ ટેકનોલોજીની મદદથી પ્રાકૃતિક કૃષિનો વધુ વિકાસ થાય તેવા સંશોધનો પર વિશેષ ભાર આપવો જોઈએ. આ ઉપરાંત ઉપગ્રહ ડેટા દ્વારા જમીનનું વિશ્લેષણ, વેધર એનાલિસીસ, પાકની સ્થિતિનું મોનિટરીંગ શક્ય બન્યુ છે જે ખેડૂતોને વધુ સચોટ અને વૈજ્ઞાનિક માર્ગદર્શન પુરુ પાડે છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ટેકનોલોજી અને પરંપરાગત જ્ઞાનના સંકલનથી કૃષિ ક્ષેત્ર વધુ સશક્ત બની શકે છે.

યુવા વૈજ્ઞાનિકોને પ્રેરણા આપતા રાજ્યપાલએ જણાવ્યું કે, ભારતનો યુવા વર્ગ સંશોધન, ઈનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ આવીને વિકસિત ભારત @ 2047ના વિઝનમાં સહભાગી થઈ શકે છે. આ પ્રસંગે રાજ્યપાલનાં હસ્તે અમદાવાદ ઈસરો, સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પ્રવેશ દ્વારાનું પણ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટરના નિયામક નિલેશ દેસાઈએ દેશની સુરક્ષા માટેના ઓપરેશનમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટરના અસરકારક ઉપયોગની મહત્તા વિશે જણાવ્યું હતુ. તેમજ અમદાવાદ કેન્દ્રની વિવિધ નવીન પહેલો, સંશોધનો અને ભવિષ્યલક્ષી આયોજનોનો ચિતાર રજૂ કર્યો હતો.

કાર્યક્રમ દરમ્યાન રાજ્યપાલશ્રીએ ઇસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો તથા વિવિધ પ્રયોગશાળાઓ, સંશોધન એકમો અને ટેક્નોલોજી વિકાસ કેન્દ્રોની મુલાકાત લઈ ચાલી રહેલા પ્રોજેક્ટ્સ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ પ્રસંગે જે.બી.એમ ગ્રુપના અધ્યક્ષ એસ.કે. આર્ય તથા ચિરિપાલ ગ્રુપના પ્રમોટર જ્યોતિપ્રસાદ ચિરીપાલ સહિત વૈજ્ઞાનિકો, અધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts

જુનાગઢ માં નિશુલ્ક સમર કેમ્પનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો, બાળકોને કીટ વિતરણ અને શિક્ષકોનું સન્માન કરાયું

જૂનાગઢમાં શિક્ષણ, સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમાન પાંચ દિવસીય ‘નિશુલ્ક સમર કેમ્પ’નો આજે અત્યંત ઉત્સાહભર્યા અને ભવ્ય વાતાવરણમાં સમાપન સમારોહ યોજાયો હતો. લોટસ સ્પોર્ટ્સ એકેડેમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા…

પેટ્રોલ-ડીઝલ સંકટનો ડર દૂર! ભારત-UAE વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોરેજની ઐતિહાસિક ડીલ

ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત (UAE) વચ્ચે ઊર્જા સુરક્ષાને લઈને એક ઐતિહાસિક કરાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએઈ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોરેજ…