અમદાવાદથી મેગા બ્રેકિંગ: લાયસન્સ વગર ઘી બનાવતી કઠવાડાની ડેરી પર AMCનો સપાટો, 452 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કરીને આખું યુનિટ સીલ કરાયું!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે લાલ આંખ કરી છે. કઠવાડા વિસ્તારમાં આવેલી એક ડેરીમાં લાયસન્સ વગર અને અત્યંત ગંદકી વચ્ચે શુદ્ધ ઘીના નામે નકલી ખેલ ચાલી રહ્યો હોવાનો પર્દાફાશ થયો છે. AMC એ રૂ. 2.85 લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી, ફેક્ટરીને તાળા મારી દીધા છે.
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય સુરક્ષા નિયમોના ઉલ્લંઘન સામે વધુ એક વખત કડક સપાટો બોલાવ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ કઠવાડા વિસ્તારમાં આવેલી એક મોટી ડેરીમાં તપાસ દરમિયાન લાયસન્સ સંબંધિત ગંભીર અનિયમિતતાઓ તેમજ ભારે ગંદકી અને હાઈજીનના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. જેને પગલે આ આખા એકમને સીલ કરી દેવામાં આવ્યું છે અને કુલ 452 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો વેચાણ માટે અટકાવી દેવાયો છે.
ફેક્ટરી પર ફૂડ વિભાગનો ઓચિંતો દરોડો
મળતી માહિતી મુજબ, ફૂડ વિભાગની ટીમે શાહ ચિંતન સુરેશભાઈ સંચાલિત “શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટસ” (શેડ નં. C/73, સત્ય-2 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, વેદ-2 નજીક, કઠવાડા) ખાતે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ સ્થળે મોટા પાયે કથિત ‘શુદ્ધ ઘી’નું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરવામાં આવી રહ્યું હતું. જોકે, જ્યારે અધિકારીઓએ પેપર્સ ચેક કર્યા તો ધંધાના સ્થળે દર્શાવવામાં આવેલ ફૂડ સેફ્ટી લાયસન્સની મુદત ક્યારનીય પૂર્ણ (Expire) થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું.

લાયસન્સ કૌભાંડ અને ગંભીર અનિયમિતતાઓ
પ્રાથમિક તપાસમાં જે ખુલાસા થયા છે તે આશ્ચર્યજનક છે. નિયમ મુજબ ફૂડ સેફ્ટી લાયસન્સ તે જ સ્થળ માટે માન્ય હોય છે જ્યાં મેન્યુફેક્ચરિંગ થતું હોય, પરંતુ અહીં જે લાયસન્સ વપરાતું હતું તે અન્ય કોઈ સ્થળનું હતું અને તે પણ એક્સપાયર થયેલું હતું! પેકિંગ પર છાપેલું સરનામું અને વાસ્તવિક ફેક્ટરીનું સરનામું તદ્દન અલગ હતું. એટલું જ નહીં, તપાસ અધિકારીઓને એવી પણ શંકા છે કે આ લાયસન્સ અન્ય કોઈ ત્રીજા યુનિટનું હોઈ શકે છે, જેનો દુરુપયોગ અહીં ગેરકાયદેસર રીતે ઘી વેચવા માટે થતો હતો.
આ સિવાય, કાયદાના શિડયુલ-4 હેઠળ નિર્ધારિત સ્વચ્છતા અને હાઈજીનના નિયમોનું પણ સ્થળ પર કોઈ પાલન થતું ન હતું. લાયસન્સમાં “શુદ્ધ ઘી”ના ઉત્પાદનનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન હોવા છતાં અહીં બેફામ રીતે ઘી ધાબડી દેવામાં આવતું હતું.
કઈ-કઈ બ્રાન્ડનું ઘી જપ્ત કરાયું? (રૂ. 2.85 લાખનો જથ્થો સ્થગિત)
દરોડા દરમિયાન ફૂડ વિભાગની ટીમે નીચે મુજબની બ્રાન્ડ્સનો શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો છે:
-
બ્રાન્ડ 1: “કાઉઝ પ્યૉર ઘી (MAKHANN MISHHRRI)” ના 500 ml જાર અને લૂઝ જથ્થા સહિત કુલ 182 લીટર ઘી.
-
બ્રાન્ડ 2: “કાઉઝ પ્યૉર ઘી (સ્વામીનારાયણ)” બ્રાન્ડના 500 ml જાર અને 1 લીટરના પેકિંગ સહિત કુલ 270 લીટર ઘી.

આમ બંને બ્રાન્ડનું મળીને કુલ 452 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 2,85,160 થાય છે, તેને તાત્કાલિક અસરથી જપ્ત કરીને વેચાણ પર રોક લગાવી દેવામાં આવી છે.
સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા, કડક કાયદેસરની કાર્યવાહી થશે
ફૂડ વિભાગ દ્વારા આ જપ્ત કરાયેલા ઘીના નમૂનાઓ વધુ તપાસ અને ક્વોલિટી ચેકિંગ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી (PHL), અમદાવાદ ખાતે વિશ્લેષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. હાલમાં આ ગંભીર છેતરપિંડીને ધ્યાનમાં રાખીને સમગ્ર એકમને બંધ કરી સીલ કરી દેવાયું છે. લેબોરેટરીનો ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત સંચાલક વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી અને જેલભેગા કરવાની તજવીજ હાથ ધરાશે.
AMC ના ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરીજનોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આગામી દિવસોમાં પણ આવા નકલી અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થો બનાવતા એકમો સામે સતત ચકાસણી અને મોનિટરિંગ ચાલુ રહેશે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





