રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાર થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે જ્યારે બપોરે તો ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે તે જોઈએ.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લોકોને ચેતવણી આપી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, “19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીષ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.
23થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું અને કમોસમી વરસાદના એંધાણ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.” અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, “હજુ પણ એક પછી એક ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે લઘુતમ તાપમાન વધશે. ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. માર્ચ મહિનામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે.
“હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. તાપમાન ધીરે ધીરે વધશે પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી. હાલ સિઝન બદલાઈ રહી છે. જેના કારણે થોડી ગરમીનો અનુભવ થશે. હાલ લઘુત્તમ તાપમાન સામાન્યની આસપાસ જ છે. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનની દિશા બદલાતા લોકોને અનુભવાઈ રહ્યો છે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.







