ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા સહિત તમામ પ્રકારની સિરપ આધારિત દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ખરીદી શકાશે નહીં.

સરકારે Drugs (5th Amendment) Rules, 2026 હેઠળ સુધારો કરીને ડ્રગ્સ રૂલ્સ, 1945ના Schedule Kમાંથી Syrupsને દૂર કર્યા છે. અત્યાર સુધી કેટલીક સિરપ દવાઓ ઓવર-ધ-કાઉન્ટર (OTC) તરીકે ઉપલબ્ધ હતી અને ગ્રાહકો તેને સીધી મેડિકલ સ્ટોર પરથી ખરીદી શકતા હતા. નવા નિયમ બાદ હવે દરેક પ્રકારની સિરપ માટે ડૉક્ટરની સલાહ અને પ્રિસ્ક્રિપ્શન જરૂરી બનશે.

દુરુપયોગ રોકવા માટે લેવાયો નિર્ણય
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં કફ સિરપ અને અન્ય સિરપ આધારિત દવાઓના દુરુપયોગ, ઓવરડોઝ અને ખોટા ઉપયોગના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. ખાસ કરીને બાળકોમાં ખોટા ડોઝ, બિનજરૂરી દવાના સેવન અને નકલી અથવા મિલાવટી સિરપથી થતા જોખમોને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે.

મેડિકલ સ્ટોર્સ માટે પણ કડક નિયમ
નવા નિયમ અમલમાં આવ્યા બાદ મેડિકલ સ્ટોર્સને પણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના સિરપ વેચવા પર પ્રતિબંધ રહેશે. નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

નાના પેકમાં જ મળશે સિરપ
સરકારે સિરપ અને અન્ય લિક્વિડ દવાઓના વેચાણ સંબંધિત વધુ એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે આવી દવાઓ માત્ર સિંગલ-યુનિટ પેકિંગમાં જ વેચી શકાશે. તેમાં 5 મિ.લી. અથવા 10 મિ.લી. જેવી નાની માત્રાવાળા પેકનો સમાવેશ થશે, જેથી એક વખતના ઉપયોગ માટે જરૂરી માત્રા જ ઉપલબ્ધ થાય.

ક્યારે લાગુ થશે નિયમ?
નવા નિયમો 1 જાન્યુઆરી, 2027થી સમગ્ર દેશમાં અમલમાં આવશે. જોકે, દવા ઉત્પાદક કંપનીઓ અને વિક્રેતાઓને હાલના સ્ટોકના વેચાણ માટે 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

શું થશે ફાયદો?
સરકારના જણાવ્યા મુજબ નવા નિયમોથી:
– ઓવરડોઝનું જોખમ ઘટશે
– બાળકો અને વૃદ્ધોની સુરક્ષા વધશે
– દવાઓની ગુણવત્તા જળવાઈ રહેશે
– મિલાવટ અને ખરાબ દવાના જોખમમાં ઘટાડો થશે
– દવાઓના દુરુપયોગને રોકવામાં મદદ મળશે
દર્દીઓની સુરક્ષા અને દવાઓના જવાબદાર ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકારનો આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

 

 

  • Related Posts

    રાજ્યભરમાં ખાદ્ય સુરક્ષા અભિયાન: 2.12 લાખ કિલો/લિટરથી વધુ ઘી, તેલ, દૂધ અને પનીર સામે કાર્યવાહી

    નાગરિકોને શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે રાજ્યના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન ઘી, ખાદ્ય…

    UPSC પ્રિલિમ્સ 2026 પર વિવાદ: પેપર લીક અને ગેરરીતિના આરોપો, NSUIએ તપાસની માંગ કરી

    UPSC પ્રિલિમ્સ 2026નું પરિણામ જાહેર થયા બાદ હવે પરીક્ષા પ્રક્રિયા અંગે ગંભીર વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા પેપર લીક અને ગેરરીતિની આશંકા વ્યક્ત કરવામાં આવી છે,…