વડોદરાના યુવકોની કાર કેનાલમાં ખાબકી, 1નું મોત; સ્થાનિક યુવકે 3ના જીવ બચાવ્યા

નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા બાર વણઝાર ગામ પાસે એક કરુણ અકસ્માતમાં વડોદરાથી ફરવા આવેલા યુવાનોની કાર કેનાલમાં ખાબકી જતાં એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ યુવાનોને સ્થાનિક યુવકે બહાદુરીપૂર્વક બચાવી લીધા હતા.

ધોધની મુલાકાત બાદ પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, વડોદરાના સોમા તળાવ લીમડી ફળિયા વિસ્તારમાં રહેતા રોહિત વસાવા, હર્ષલ જગતાપ, સાહિલ નઝીર મલેક અને જયદીપ મૂળજી રાઠોડ કારમાં રાજપીપળા નજીક આવેલા બાર વણઝાર ધોધની મુલાકાતે આવ્યા હતા. સાંજના સમયે ધોધથી પરત વડોદરા જવા નીકળ્યા ત્યારે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કાર ચલાવી રહેલા રોહિત વસાવાએ વાહન પરથી કાબૂ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલી કેનાલમાં ખાબકી હતી. કાર પાણીમાં પડતાં ચારેય યુવકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

સ્થાનિક યુવક બન્યો દેવદૂત
અકસ્માત બાદ હર્ષલ જગતાપ, સાહિલ મલેક અને જયદીપ રાઠોડ કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન બાર વણઝાર ફળિયામાં રહેતા ચંદન દેવા વસાવા ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ચંદને પોતાની જાનની પરવા કર્યા વિના દોરડાની મદદથી હર્ષલ જગતાપ અને જયદીપ રાઠોડને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ત્યારબાદ સાહિલ મલેક ઊંડા પાણીમાં ડૂબી રહ્યો હોવાની જાણ થતાં ચંદને કેનાલમાં કૂદકો મારી તેને પણ બચાવી લીધો હતો.

કાર ચાલકનું ડૂબી જવાથી મોત
અકસ્માત સમયે કાર ચલાવી રહેલો રોહિત વસાવા પણ કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો, પરંતુ તેને તરતા ન આવડતાં તે કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી.

કલાકોની શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢાયો
ઘટનાસ્થળે પહોંચેલી રાજપીપળા નગરપાલિકા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. કલાકોની શોધખોળ બાદ ફાયર કર્મચારીઓએ રોહિત વસાવાનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. અકસ્માતની માહિતી મળતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ક્રેનની મદદથી કેનાલમાં ખાબકેલી કારને બહાર કાઢવામાં આવી હતી અને સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિસ્તારમાં શોકનો માહોલ
આ દુર્ઘટનામાં એક યુવાનનું મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બીજી તરફ, સ્થાનિક યુવક ચંદન દેવા વસાવાની બહાદુરીને લઈને લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. તેના સમયસરના પ્રયાસોના કારણે ત્રણ યુવાનોના જીવ બચી શક્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

 

 

 

  • Related Posts

    ઓમાનના દરિયામાં તેલ ટેન્કર પર હુમલાનો દાવો, 3 ભારતીય નાવિકો લાપતા હોવાની માહિતી

    ઓમાનના દરિયાકાંઠે એક ઓઇલ અને કેમિકલ ટેન્કર પર હુમલો થયાની માહિતી સામે આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, જહાજમાં કુલ 28 ક્રૂ સભ્યો સવાર…

    અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડાં ખાખ; 200થી વધુ પરિવારો અસરગ્રસ્ત

    અમદાવાદ શહેરના વિશાલા સર્કલથી નારોલ તરફ જવાના મુખ્ય માર્ગ પર મેટ્રો સ્ટેશન નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે…