વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ભયાનક અકસ્માત: પીગળેલા સ્ટીલની લીકેજથી 8 મજૂરોના મોત

વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત સ્ટીલ પ્લાન્ટમાં થયેલા ભયાનક ઔદ્યોગિક અકસ્માતમાં 8 મજૂરોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જ્યારે અનેક કામદારો ઘાયલ થયા છે. ઘટનાને પગલે સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ સ્ટીલ પ્લાન્ટના SMS-2 અને STC-3 હીટ ફેસિલિટી વિસ્તારમાં લગભગ 1600 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પીગળેલા સ્ટીલથી ભરેલો લાડલ (Ladle) અચાનક ફાટી જતાં મોટી માત્રામાં પીગળેલું સ્ટીલ બહાર વહી ગયું હતું. અત્યંત ઊંચા તાપમાને રહેલા સ્ટીલના સંપર્કમાં આવતા અનેક કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા.

અકસ્માત બાદ પ્લાન્ટ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને કામદારો પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્ટીલ પ્લાન્ટની ઇમરજન્સી ટીમ અને ફાયર સેફ્ટી સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ તથા લીકેજને કાબૂમાં લેવા કામગીરી શરૂ કરી હતી.

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ સર્કલ ઇન્સ્પેક્ટર કેશવ રાવે જણાવ્યું હતું કે ઘટનાની જાણ મળતાં જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ગંભીર અકસ્માત અંગે આંધ્રપ્રદેશના ગૃહમંત્રી વાંગલાપુડી અનિતાએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. તેમણે વિશાખાપટ્ટનમ જિલ્લા કલેક્ટર અને શહેર પોલીસ કમિશનર સાથે ફોન પર વાતચીત કરીને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. સાથે જ અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવા અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા સૂચના આપી હતી.

અકસ્માતના સમાચાર મળતા જ ગૃહમંત્રી ઘટનાસ્થળે જવા રવાના થયા હતા અને અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી હતી કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ અકસ્માતે ફરી એકવાર ભારે ઉદ્યોગોમાં સલામતીના ધોરણો અને કર્મચારીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

 

 

  • Related Posts

    લેબનોન માટે ઈરાન કેમ છે એટલું સંવેદનશીલ? જાણો શું છે વ્યૂહાત્મક અને રાજકીય મહત્ત્વ

    મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાન અને ઈઝરાયલ વચ્ચેની ટક્કરમાં લેબનોન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. તાજેતરના હુમલાઓ અને પ્રતિક્રિયાઓએ એ પ્રશ્ન ઉભો કર્યો છે કે આખરે લેબનોન માટે…

    કચ્છના વિકાસને મળશે નવી ગતિ: 6 મુખ્ય રસ્તાઓ ફોરલેન બનશે, ₹630 કરોડના પ્રોજેક્ટને મંજૂરી

    કચ્છ જિલ્લાના માર્ગ માળખાને વધુ આધુનિક અને સુવિધાસભર બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લામાં આવેલા 6 મુખ્ય માર્ગોને ફોરલેનમાં અપગ્રેડ કરવા માટે અંદાજે ₹630 કરોડના…