ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપે જાહેર કર્યા 4 ઉમેદવાર, રાજ્યસભામાં પણ અપનાવી ‘નો રિપીટ થિયરી’

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની ચાર બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં પણ ‘નો રિપીટ થિયરી’ અપનાવીને નવા ચહેરાઓને તક આપી છે. ભાજપે રાજ્યસભા માટે રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયાના નામ જાહેર કર્યા છે. નોંધનીય છે કે રાજ્યસભાના સાંસદ પદેથી નિવૃત થઈ રહેલા ત્રણ વર્તમાન સભ્યોને ફરી તક આપવામાં આવી નથી.

ભાજપના ઉમેદવારો કોણ?
મુકેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ વિસ્તારના રહેવાસી છે અને આદિવાસી સમાજમાંથી આવે છે. તેઓ હાલમાં ભાજપના મહામંત્રી તરીકે કાર્યરત છે તેમજ અગાઉ ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. જીતેન્દ્ર કણઝારિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના અગ્રણી કાર્યકર અને સતવારા સમાજના પ્રતિનિધિ છે. તેઓ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. તેમના પિતા અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાનું વર્ષ 2021માં કોરોનાકાળ દરમિયાન નિધન થયું હતું.

માનસિંહ પરમાર હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. રાજુ શુક્લા લાંબા સમયથી ભાજપ સાથે સંકળાયેલા કાર્યકર છે અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તરીકે કામગીરી કરી રહ્યા છે. જાહેર કરાયેલા ઉમેદવારોમાં બે નેતાઓ સૌરાષ્ટ્ર વિસ્તારના છે, જ્યારે બે નેતાઓ મધ્ય અને ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.

કયા સાંસદો થઈ રહ્યા છે નિવૃત?
ગુજરાતમાંથી રાજ્યસભાના જે ચાર સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે તેમાં રામભાઈ મોકરીયા, અમીન નરહરિ હીરાભાઈ, શક્તિસિંહ ગોહિલ અને રમીલા બારા સામેલ છે. ભાજપે રામભાઈ મોકરીયા, અમીન નરહરિ અને રમીલા બારાને ફરી ઉમેદવારી ન આપીને ‘નો રિપીટ થિયરી’નો અમલ કર્યો છે.

રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ
– ચૂંટણી જાહેરનામું: 1 જૂન, 2026
– ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 8 જૂન, 2026
– નામપત્રોની ચકાસણી: 9 જૂન, 2026
– ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ: 11 જૂન, 2026
– મતદાન અને પરિણામ: 18 જૂન, 2026

કોંગ્રેસ સામે પ્રતિનિધિત્વ ગુમાવવાનો ખતરો
ગુજરાત કોંગ્રેસ માટે આ ચૂંટણી ઐતિહાસિક પડકારરૂપ બની શકે છે. રાજ્યસભામાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે.

ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક જીતવા માટે 37 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે, જ્યારે કોંગ્રેસ પાસે હાલમાં માત્ર 12 ધારાસભ્યો છે. આ સંજોગોમાં કોંગ્રેસ માટે રાજ્યસભાની બેઠક જીતવી તો દૂર, ઉમેદવારી પ્રક્રિયા પણ પડકારજનક બની શકે છે. જો કોંગ્રેસ રાજ્યસભામાં પ્રતિનિધિત્વ જાળવી રાખવામાં નિષ્ફળ જશે તો જૂન બાદ ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે.

રાજકીય વિશ્લેષકોના મતે ભાજપે સામાજિક અને પ્રાદેશિક સંતુલન જાળવતાં નવા ચહેરાઓને તક આપીને સંગઠન આધારિત રાજકારણને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.

 

 

  • Related Posts

    એક જ દિવસમાં 706 વ્હેલ અને ડોલ્ફિનનો શિકાર, ક્રૂર ઘટનાથી વિશ્વભરમાં આક્રોશ

    ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં આવેલ ફેરો આઇલેન્ડ્સમાં સદીઓ જૂની ‘ગ્રિન્ડાડ્રેપ’ પરંપરા હેઠળ એક જ દિવસમાં 706 વ્હેલ અને ડોલ્ફિનના શિકારની ઘટના સામે આવતા વિશ્વભરમાં ભારે આક્રોશ ફેલાયો છે. પર્યાવરણ અને પ્રાણી…

    હૈદરાબાદ એરપોર્ટ પર સુદાનના નાગરિકમાં ઈબોલાના લક્ષણો, આઈસોલેશન સેન્ટરમાં ખસેડાયો

    હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ગુરુવારે સુદાનના એક નાગરિકમાં ઈબોલા જેવા લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગમાં સતર્કતા વધારવામાં આવી છે. મુસાફરની તાજેતરની મુસાફરીનો ઇતિહાસ તપાસતા તે ઈબોલા પ્રભાવિત દેશોમાં…