મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોને મોટી આર્થિક રાહત આપતા રૂ. 2 લાખ સુધીના કૃષિ ધિરાણ (પાક લોન) માફ કરવાની યોજનાને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના અંદાજ મુજબ આ યોજનાનો લાભ આશરે 56 લાખ ખેડૂતોને મળશે અને 65 લાખથી વધુ લોન ખાતાઓ આવરી લેવામાં આવશે. માર્ચ 2026ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ સપ્ટેમ્બર 2025 સુધીની બાકી રહેલી પાક લોન આ યોજના હેઠળ માફ કરવામાં આવશે.
રાજ્ય સરકાર પર પડશે રૂ. 36,585 કરોડનો બોજ
દેવા માફી યોજનાના અમલીકરણથી રાજ્યની તિજોરી પર અંદાજે 36,585 કરોડ રૂપિયાનું વધારાનું નાણાકીય ભારણ આવશે. તેમ છતાં, ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
નિયમિત લોન ચૂકવનારા ખેડૂતોને મળશે બોનસ
કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે ખેડૂતો સમયસર અને નિયમિત રીતે બેંક લોનની ચૂકવણી કરે છે તેમને પ્રોત્સાહનરૂપે રૂ. 50,000 સુધીનું અનુદાન આપવામાં આવશે. સરકારના આ પગલાથી પ્રામાણિક રીતે લોન ભરતા ખેડૂતોને પણ સીધો લાભ મળશે.
ચૂંટણી આચારસંહિતાને કારણે સત્તાવાર જાહેરાત બાકી
સરકારે અગાઉ લોન માફી યોજનાના માપદંડો અને પાત્રતા નક્કી કરવા માટે વિશેષ સમિતિની રચના કરી હતી. સમિતિનો અહેવાલ મળ્યા બાદ કેબિનેટે યોજનાને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે આ લોન માફી યોજના 2024ની વિધાનસભા ચૂંટણી દરમિયાન Mahayuti ગઠબંધન દ્વારા આપવામાં આવેલા મુખ્ય વચનોમાં સામેલ હતી. હાલમાં રાજ્યમાં વિધાન પરિષદની ચૂંટણીને કારણે આચારસંહિતા અમલમાં હોવાથી સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આચારસંહિતા પૂર્ણ થયા બાદ યોજનાની વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






