CBSEની ધો. 9-10માં ‘3 ભાષા ફોર્મ્યુલા’ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર, કેન્દ્ર અને બોર્ડને પાઠવી નોટિસ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 9 અને 10માં ત્રણ ભાષાઓ ફરજિયાત બનાવવાના નિર્ણય મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે CBSEના નવા નિયમ પર તાત્કાલિક રોક લગાવવાનો ઈનકાર કર્યો છે, પરંતુ સાથે જ કેન્દ્ર સરકાર અને CBSEને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ મામલે ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી હાથ ધરી હતી.

વિદ્યાર્થીઓ પર વધતા દબાણનો મુદ્દો ઉઠ્યો
અરજદારો તરફથી દલીલ કરવામાં આવી હતી કે નવી ભાષા નીતિના કારણે વિદ્યાર્થીઓ પર અભ્યાસનું વધારાનું દબાણ વધી શકે છે. ખાસ કરીને ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓ ફરજિયાત બનાવવાનો નિર્ણય માનસિક અને શૈક્ષણિક ભાર વધારશે. સુપ્રીમ કોર્ટે હાલ માટે આ નિયમ પર રોક મૂકવાનો ઈનકાર કર્યો છે, પરંતુ કેન્દ્ર સરકાર અને CBSE પાસેથી વિગતવાર જવાબ માંગ્યો છે. કોર્ટે આગામી સુનાવણી 15 અથવા 16 જુલાઈએ હાથ ધરવાની સંભાવના વ્યક્ત કરી છે.

1 જુલાઈ 2026થી અમલમાં આવશે નવો નિયમ
CBSEએ 15 મે 2026ના રોજ જાહેર કરેલા સત્તાવાર પરિપત્ર મુજબ, શૈક્ષણિક વર્ષ 2026-27થી ધોરણ 9માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓનો અભ્યાસ ફરજિયાત રહેશે. આ નવો નિયમ 1 જુલાઈ 2026થી દેશભરની તમામ CBSE સંલગ્ન શાળાઓમાં લાગુ કરવામાં આવશે.

બે ભારતીય ભાષાઓ ફરજિયાત
નવી ભાષા નીતિ હેઠળ ત્રણ ભાષાઓને R1, R2 અને R3 તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે વિદ્યાર્થીએ પસંદ કરેલી ત્રણ ભાષાઓમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતીય હોવી ફરજિયાત રહેશે. ભારતીય ભાષાઓમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, મરાઠી સહિતની ભાષાઓનો સમાવેશ થાય છે.

વિદેશી ભાષા માટે ખાસ નિયમ
જો કોઈ વિદ્યાર્થી અંગ્રેજી ઉપરાંત ફ્રેન્ચ, જર્મન અથવા સ્પેનિશ જેવી વિદેશી ભાષા ભણવા માંગે, તો તે માત્ર ત્રીજી ભાષા (R3) તરીકે જ પસંદ કરી શકશે. તે માટે બાકીની બે ભાષાઓ ભારતીય હોવી જરૂરી રહેશે. વિદ્યાર્થીઓને વધારાના વિષય તરીકે ચોથી ભાષા પસંદ કરવાની પણ છૂટ આપવામાં આવી છે.

ધોરણ 10માં ત્રીજી ભાષાની બોર્ડ પરીક્ષા નહીં
CBSEએ વિદ્યાર્થીઓને રાહત આપતા જણાવ્યું છે કે ધોરણ 10માં ત્રીજી ભાષા માટે અલગથી બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં.

આ પ્રમાણે થશે મૂલ્યાંકન
– ત્રીજી ભાષાનું મૂલ્યાંકન શાળા સ્તરે આંતરિક રીતે થશે
– ગુણ અથવા ગ્રેડ અંતિમ માર્કશીટમાં દર્શાવવામાં આવશે
– ત્રીજી ભાષામાં નબળું પ્રદર્શન હોવા છતાં વિદ્યાર્થીને બોર્ડ પરીક્ષામાં બેસતા અટકાવવામાં આવશે નહીં
– શિક્ષકોની અછત માટે CBSEએ આપી છૂટછાટ
નવી ભાષા નીતિ અમલમાં મૂકવા માટે ભાષા શિક્ષકોની અછત મોટો પડકાર બની શકે છે. આ માટે CBSEએ શાળાઓને કેટલીક ખાસ છૂટછાટ આપી છે.

શાળાઓ માટે ખાસ વ્યવસ્થા
– ઓનલાઈન અને ઓફલાઈન મળીને હાઈબ્રિડ ક્લાસ ચલાવી શકાશે
– નજીકની શાળાઓ શિક્ષકો અને સંસાધનો વહેંચી શકશે
– નિવૃત્ત શિક્ષકોને કરાર આધારિત નિયુક્ત કરી શકાશે
– અન્ય વિષયના ભાષા જાણતા શિક્ષકોને પણ જવાબદારી સોંપી શકાશે

CBSEએ તમામ શાળાઓને 30 જૂન 2026 સુધી OASIS પોર્ટલ પર ભાષા વિકલ્પોની વિગતો અપડેટ કરવાનો પણ આદેશ આપ્યો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના ભાગરૂપે લાગુ થનારી આ ત્રણ ભાષા ફોર્મ્યુલા હવે દેશભરના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બની છે.

 

 

 

  • Related Posts

    આમિર ખાનને ધમકી: લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ આવતા ખળભળાટ! 2026

    આમિર ખાનને ધમકી? સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટથી ચકચાર, લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામની ચર્ચા વચ્ચે મુંબઈ પોલીસ સતર્ક મુંબઈ: બોલિવૂડના જાણીતા અભિનેતા આમિર ખાનને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી…

    રોકાણ ગુજરાત નંબર-1: દેશનું સૌથી મોટું રોકાણ હબ બન્યું ગુજરાત

    દેશમાં રોકાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું ગુજરાત: નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026’માં નંબર-1, મહારાષ્ટ્ર અને તમિલનાડુને પણ પાછળ છોડ્યું ગાંધીનગર, 18 જુલાઈ: ગુજરાતે ફરી એકવાર દેશના ઔદ્યોગિક વિકાસ…