આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં ફેલાયેલા ઈબોલા વાયરસના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પોતાના નાગરિકો માટે મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે કાંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO) દ્વારા ઈબોલાના પ્રકોપને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી જાહેર કર્યા બાદ ભારત સરકારે સાવચેતીના પગલાં વધુ કડક બનાવ્યા છે.
પ્રવાસીઓને જાહેર આરોગ્ય નિયમોનું પાલન કરવાની સૂચના
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે જે ભારતીય નાગરિકો હાલ આ દેશોમાં રહે છે અથવા પ્રવાસે ગયા છે તેઓ સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા તમામ માર્ગદર્શનોનું પાલન કરે. સાથે જ વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી, ઈબોલાના લક્ષણો ધરાવતા લોકોના સંપર્કથી દૂર રહેવું અને તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે.
ઈબોલા માટે હજી સુધી ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ‘બુન્ડીબુગ્યો સ્ટ્રેન’ના કારણે ફેલાતો ઈબોલા અત્યંત ઘાતક માનવામાં આવે છે અને તેનો મૃત્યુદર પણ ઊંચો હોય છે. હાલમાં આ સ્ટ્રેન માટે કોઈ અસરકારક વેક્સિન અથવા ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી, જેના કારણે વૈશ્વિક સ્તરે ચિંતા વધી રહી છે.
આફ્રિકા માટે ભારતે મોકલી તબીબી સહાય
ભારતે આ જાહેર આરોગ્ય સંકટ દરમિયાન આફ્રિકાની મદદ માટે આગળ આવી તબીબી સામગ્રી અને સુરક્ષા કીટની પ્રથમ ખેપ આફ્રિકા CDCને મોકલી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે આફ્રિકાને જરૂરી સહાય આપવાની ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
ભારતમાં એરપોર્ટ પર વધારાઈ ચેકિંગ વ્યવસ્થા
ઈબોલાના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને ભારતના અનેક એરપોર્ટ અને એન્ટ્રી પોઈન્ટ્સ પર સ્ક્રીનિંગ અને સખત ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી સત્ય કુમાર યાદવે જણાવ્યું કે રાજ્ય સરકાર ‘હાઈ એલર્ટ’ પર છે અને વિદેશથી આવતા મુસાફરોની વિશેષ તપાસ કરવામાં આવી રહી છે.
હાલ ભારતમાં ઈબોલાનો એકપણ કેસ નથી
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના તમામ એરપોર્ટ, બંદરો અને આંતરરાષ્ટ્રીય એન્ટ્રી પોઈન્ટ્સ પર હેલ્થ એડવાઈઝરી જાહેર કરી છે. જોકે હાલ સુધી ભારતમાં ઈબોલાનો એકપણ કેસ નોંધાયો નથી અને તમામ પગલાં સાવચેતીરૂપે લેવામાં આવી રહ્યા છે.
શું છે ઈબોલા વાયરસ?
ઈબોલા એક અત્યંત જીવલેણ અને ચેપગ્રસ્ત વાયરસ છે, જે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. શરૂઆતમાં તેના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા હોય છે, જેમાં ઊંચો તાવ, શરીરમાં નબળાઈ, માથાનો દુખાવો, ગળામાં ખરાશ અને સ્નાયુઓમાં દુખાવો સામેલ છે. ગંભીર સ્થિતિમાં દર્દીને ઉલટી, ઝાડા અને આંતરિક-બાહ્ય રક્તસ્રાવ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ઈબોલા કેવી રીતે ફેલાય છે?
– ઈબોલા હવામાંથી ફેલાતો નથી, પરંતુ સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કથી ઝડપથી ફેલાય છે.
– સંક્રમિત દર્દીના લોહી, લાળ, પરસેવો, ઉલટી અથવા અન્ય શારીરિક પ્રવાહીઓના સંપર્કથી ચેપ લાગી શકે છે.
– વાયરસથી દૂષિત કપડાં, પથારી અથવા અન્ય વસ્તુઓને અડવાથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે.
– ઈબોલાથી મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહના સંપર્કથી પણ વાયરસ ફેલાવાનો ખતરો રહે છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





