કોણ છે વિજય સરકારની સૌથી યુવા મંત્રી એસ. કીર્તના? સરકારી શાળાથી કેબિનેટ સુધીની પ્રેરણાદાયી સફર

તમિલનાડુમાં વિજય થલાપતિની નવી સરકાર રચાયા બાદ જે ચહેરાની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે એસ. કીર્તના. માત્ર 29 વર્ષની ઉંમરે તેઓ રાજ્યની સૌથી યુવા મંત્રીઓમાં સામેલ બન્યા છે. વિરૂધ્ધનગર જિલ્લાના શિવકાશી મતવિસ્તારથી ઐતિહાસિક જીત મેળવી કીર્તનાએ રાજકારણમાં પોતાની મજબૂત એન્ટ્રી નોંધાવી છે.

સામાન્ય પરિવારમાંથી ઊભરેલો ચહેરો
1996માં જન્મેલી એસ. કીર્તનાએ પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તમિલ માધ્યમની સરકારી શાળામાં પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેમણે મદુરાઈ કામરાજ યુનિવર્સિટીમાંથી ગણિત વિષયમાં BSc કર્યું અને 2019માં પોંડિચેરી યુનિવર્સિટીમાંથી સ્ટેટિસ્ટિક્સમાં MSc ની ડિગ્રી મેળવી. સાદા પરિવાર અને રાજકીય પૃષ્ઠભૂમિ વગરની યુવતી આજે રાજ્ય કેબિનેટનો ભાગ બનતા અનેક યુવાનો માટે પ્રેરણા બની છે.

પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટથી મંત્રી સુધી
સક્રિય રાજકારણમાં પ્રવેશ કરતા પહેલાં કીર્તના એક જાણીતી પોલિટિકલ કન્સલ્ટન્ટ અને ડિજિટલ કેમ્પેઈન સ્ટ્રેટેજિસ્ટ તરીકે કાર્યરત હતી. તેમણે IPAC અને શો-ટાઈમ કન્સલ્ટિંગ જેવી સંસ્થાઓ સાથે કામ કર્યું હતું. કીર્તનાએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી, તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિન અને આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ જેવા દિગ્ગજ નેતાઓના ચૂંટણી અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રાજકીય વ્યૂહરચના અને સોશિયલ મીડિયા મેનેજમેન્ટમાં તેમની કુશળતાએ તેમને અલગ ઓળખ અપાવી.

પાંચ ભાષાઓની જાણકાર
કીર્તના તમિલ, અંગ્રેજી, હિન્દી, તેલુગુ સહિત પાંચ ભાષાઓમાં અસ્ખલિત વાતચીત કરી શકે છે. તેમણે ખાસ કરીને હિન્દી શીખવાનું કારણ જણાવતાં કહ્યું હતું કે તેઓ વિજય અને તેમની પાર્ટીનો સંદેશ દેશભરમાં પહોંચાડવા માંગતા હતા. પાર્ટીના સૂત્રો મુજબ, સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી સાથે તેઓ વિજયની રાજકીય છબી અને પાર્ટીની રાષ્ટ્રીય પહોંચ વધારવા માટે સ્ટ્રેટેજિક કામગીરી પણ સંભાળશે.

શિવકાશીમાં રચ્યો ઇતિહાસ
2026ની વિધાનસભા ચૂંટણીમાં એસ. કીર્તનાએ શિવકાશી બેઠક પરથી કોંગ્રેસના અશોકન જી.ને 11,670 મતોથી હરાવ્યા હતા. ખાસ વાત એ છે કે છેલ્લા લગભગ 70 વર્ષમાં શિવકાશી બેઠક જીતનાર તેઓ પ્રથમ મહિલા ધારાસભ્ય બન્યા છે. તેમણે AIADMKના પૂર્વ મંત્રીને પણ હરાવી રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા હતા.

ટીવીકે કેમ પસંદ કરી?
કીર્તનાના જણાવ્યા મુજબ, વિજયની તમિલગા વેટ્રી કઝગમ (TVK) એવી પાર્ટી છે જ્યાં ટેલેન્ટ અને કામ કરવાની ઈચ્છાને મહત્વ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, “મારી પાસે કોઈ રાજકીય કે આર્થિક પૃષ્ઠભૂમિ નહોતી, છતાં પાર્ટીએ મને તક આપી. જો લોકો માટે કામ કરવાની ઈચ્છા હોય તો ટીવીકેમાં દરેકનું સ્વાગત છે.”

 

 

  • Related Posts

    હીટવેવ અને પૂર સામે કેન્દ્ર સતર્ક: અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક

    દેશમાં વધતી ગરમી અને સંભવિત પૂર જેવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ, હીટવેવ સામેની કામગીરી અને…

    જામનગરમાં PM મોદીનું સંબોધન: હાલારી પાઘડીમાં દેખાયો લોકસંપર્કનો રંગ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન રવિવારે રાત્રે જામનગરમાં યોજાયેલી જનસભામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે પરંપરાગત હાલારી પાઘડી પહેરીને સંબોધન કર્યું, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં સાંસ્કૃતિક…