હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ, ઈરાન-અમેરિકા વચ્ચે હુમલાના દાવા

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ઈરાનની સૈન્ય કમાન ‘ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર્સ’એ દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક બે ઈરાની જહાજોને નિશાન બનાવી હુમલો કર્યો છે. ઈરાનના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી દરમિયાન દક્ષિણ ઈરાનના કેટલાક રહેણાંક વિસ્તારો પર પણ હુમલા કરવામાં આવ્યા હતા.

ઈરાની સૈન્ય પ્રવક્તા ઈબ્રાહિમ જોલ્ફાગરીએ આ હુમલાને અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. મળતી માહિતી મુજબ, નિશાન બનેલા જહાજોમાં એક ઓઈલ ટેન્કર હતું, જે જસ્ક નજીકથી હોર્મુઝ સ્ટ્રેટ તરફ જઈ રહ્યું હતું, જ્યારે બીજું જહાજ UAEના ફુજૈરાહ નજીક આ જલમાર્ગમાં પ્રવેશી રહ્યું હતું. ઈરાનનો આરોપ છે કે હોર્મોઝગાન પ્રાંતના બંદર-એ-ખમીર અને સિરિક જેવા નાગરિક વિસ્તારોમાં પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.

ઈરાને દાવો કર્યો છે કે અમેરિકી કાર્યવાહી બાદ તેના દળોએ તાત્કાલિક જવાબી હુમલો કર્યો હતો. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) નેવીએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટના પૂર્વીય ભાગ અને ચાબહાર બંદર નજીક હાજર અમેરિકી સૈન્ય જહાજોને બેલેસ્ટિક મિસાઈલો, એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલો અને વિસ્ફોટક ડ્રોનથી નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાનના દાવા મુજબ, આ હુમલાના કારણે ત્રણ અમેરિકી ડિસ્ટ્રોયર જહાજોને વિસ્તાર છોડવો પડ્યો હતો.

બીજી તરફ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ ઈરાનના તમામ દાવાઓને ફગાવી દીધા છે. અમેરિકાનું કહેવું છે કે તેની સેનાએ ઈરાન તરફથી થયેલા ‘ઉશ્કેરણીજનક હુમલા’ને અટકાવવા આત્મરક્ષણમાં કાર્યવાહી કરી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા અમેરિકી ડિસ્ટ્રોયર જહાજોને કોઈ નુકસાન થયું નથી.

ટ્રમ્પે ચેતવણી આપતાં જણાવ્યું કે જો ઈરાન તરફથી ફરી હુમલો કરવામાં આવશે તો અમેરિકા વધુ કડક અને જોરદાર જવાબ આપશે. હાલ હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં વધેલા તણાવને કારણે વૈશ્વિક સ્તરે તેલ સપ્લાય અને સમુદ્રી સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે.

 

 

  • Related Posts

    Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

    Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

    ભારતમાં હેન્ટાવાઇરસને લઈને ચિંતા વચ્ચે NIV અને WHOએ આપી રાહત

    તાજેતરમાં ડચ ક્રૂઝ શિપ MV Hondius પર હેન્ટાવાઇરસના કેસો સામે આવતા વૈશ્વિક સ્તરે ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને જહાજ પર બે ભારતીય નાગરિકો પણ ક્રૂ મેમ્બર તરીકે હાજર હોવાના અહેવાલો…