ભારત સરકારએ તાજેતરમાં ભારતીય જહાજ પર થયેલા હુમલા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ જળમાર્ગને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે આ ઘટના બની છે, જેના કારણે દરિયાઈ સુરક્ષા અંગે ચિંતાઓ વધી ગઈ હતી.
જહાજ પર હુમલો, પણ નાવિકો સુરક્ષિત
જળમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 25 એપ્રિલે ઓમાનના દરિયામાંથી પસાર થઈ રહેલા ‘એમટી સિરોન’ નામના કેમિકલ ટેન્કર પર ઈરાની કોસ્ટ ગાર્ડ દ્વારા ચેતવણીરૂપ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ જહાજ મુદ્રા પોર્ટ તરફ આવી રહ્યું હતું. સારા સમાચાર એ છે કે, જહાજ પર સવાર તમામ 17 ભારતીય નાવિકો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
અગાઉ પણ થયા હતા હુમલા
આ પહેલા 22 એપ્રિલે પણ હોર્મુઝ જળમાર્ગમાં ભારતીય જહાજને નિશાન બનાવાયું હતું. તેમજ 18 એપ્રિલે બે અન્ય ભારતીય જહાજો પર પણ હુમલા થયાની માહિતી સામે આવી હતી. ભારતએ આ ઘટનાઓને આંતરરાષ્ટ્રીય દરિયાઈ નિયમોનું ઉલ્લંઘન ગણાવીને કડક વિરોધ નોંધાવ્યો છે.
ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
સરકારે ખાતરી આપી છે કે દેશમાં ખાતરની કોઈ અછત નથી. ખરીફ સિઝન માટે જ્યાં લગભગ 18.17 લાખ મેટ્રિક ટન યુરિયાની જરૂરિયાત હોય છે, ત્યાં હાલમાં લગભગ 71.58 લાખ મેટ્રિક ટનનો જથ્થો ઉપલબ્ધ છે. ડીએપી ખાતર પણ પૂરતા પ્રમાણમાં સ્ટોકમાં છે અને કિંમતોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
LPG અને ગેસ સપ્લાય સંપૂર્ણ સુરક્ષિત
પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું છે કે LPG, CNG અને PNG ગેસનો પુરવઠો 100% સુરક્ષિત છે. કોમર્શિયલ ગેસનો ક્વોટા 70% સુધી વધારવામાં આવ્યો છે. ગેસ વિતરણમાં પારદર્શિતા માટે 93% સિલિન્ડરો ઓથેન્ટિકેશન કોડ દ્વારા આપવામાં આવી રહ્યા છે. ગેરરીતિઓ અને અફવાઓને રોકવા માટે 71 ગેસ એજન્સીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે.





