રથયાત્રામાં શ્રદ્ધા પર મારામારીનું ગ્રહણ: અમદાવાદના દરિયાપુરમાં પ્રસાદ લેવા બાબતે બે જૂથો વચ્ચે બબાલ, મહિલા સાથે ગેરવર્તણૂક
અમદાવાદ: ભક્તિ અને આસ્થાના પર્વ સમાન અમદાવાદની ૧૪૯મી રથયાત્રામાં આજે દરિયાપુર વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. રથયાત્રા દરમિયાન ભક્તો માટે રાખવામાં આવેલ પ્રસાદ લેવા બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારી થતા વાતાવરણ તંગ બની ગયું હતું. આ ઘટનામાં એક મહિલા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાના ગંભીર આરોપો પણ લાગ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
પ્રાપ્ત વિગતો અનુસાર, રથયાત્રાનો કાફલો જ્યારે દરિયાપુર દરવાજા નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રથ સાથેની ટ્રકમાંથી પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન, પ્રસાદ લેવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. આરોપ છે કે, પ્રસાદ લેવા માટે આગળ વધેલી એક મહિલાને ભીડમાં સામેલ કેટલાક શખ્સો દ્વારા હાથ અડાડી અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. આ બાબતે મહિલાના પરિવારજનો અને સામેના પક્ષ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી, જે બાદમાં મારામારીમાં પરિણમી હતી.
પોલીસની તાત્કાલિક કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ દરિયાપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રથયાત્રાની સુરક્ષામાં તૈનાત પોલીસે સ્થિતિને કાબૂમાં લઈ મારામારી કરનાર બંને પક્ષના શખ્સોને અટકાયતમાં લીધા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વિસ્તારમાં શાંતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
શ્રદ્ધાળુઓમાં રોષ
રથયાત્રા જેવા પવિત્ર પ્રસંગે દરિયાપુર જેવા સંવેદનશીલ વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઈને સ્થાનિક રહીશો અને અન્ય ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આવા તત્વો રથયાત્રાની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે સાંખી લેવાશે નહીં.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






